ગાંધીનગર : 6ઠ્ઠી ડિસેમ્બર મહામાનવ ડો. બાબા સાહેબ આંબેડકરના મહાપરિનિર્વાણ દિવસ નિમિત્તે શ્રધ્ધાંજલિના ભાગરૂપે સમગ્ર ગુજરાતના દલિત વર્ગ,શોષિત વર્ગ,વંચિત વર્ગ,પીડિત વર્ગ,મજદૂર વર્ગ,કિસાન,એસ.સી.,એસ.ટી.,ઓ.બી.સી.,ગરીબ વ્યક્તિઓને ગાંધીનગર સુધીના ધક્કા ખાવા ના પડે તેવા શુભ આશયથી પોતાના મોબાઇલમાંથી જ ગુજરાત સરકારના માર્ગ અને મકાન વિભાગ હસ્તકના રસ્તાઓની ક્ષતિ માટે સીધે સીધો ફોટો પાડી “પૂર્ણેશ મોદી એપ” માં અપલોડ કરી રજૂઆત કરી શકાશે.ગુજરાત રાજયના માન.મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇના નેતૃત્વમાં ગુજરાત સરકાર વધુમાં વધુ વહીવટી સરળીકરણ થઇ રહે, લોકોની તકલીફો ઓછી થાય, તેમની ફરીયાદોનો ઝડપથી નિકાલ થાય એ દિશામાં ગુજરાત સરકાર કામગીરી કરી રહી છે જેના ભાગરૂપે ગુજરાત રાજયના કેબીનેટ મંત્રી પૂર્ણેશ મોદીએ “પૂર્ણેશ મોદી એપ” માં એક નવા ક્રાંતિકારી ડીજીટલ અભિગમનો ઉમેરો કર્યો છે.
ભારતના બંધારણના ઘડવૈયા, વિશ્વવિભૂતિ, ભારતરત્ન ડો.બાબા સાહેબ આંબેડકરના 6 ડીસેમ્બર મહાપરિનિર્વાણ દિવસે કેબીનેટ મંત્રી પૂર્ણેશમોદીએ “પૂર્ણેશ મોદી એપ” માં નવીનીકરણ સાથે સાકાર થયેલ વધુ એક ક્રાંતિકારી ડીજીટલ સુવિધાનો પ્રારંભ કર્યો છે.આ એપ્લીકેશનમાં કોઇપણ નાગરિક માર્ગ અને મકાન વિભાગ હસ્તકના રસ્તાઓ માટે રસ્તાની ક્ષતિ માટેની ફરીયાદ કરવી હોય તો “પૂર્ણેશ મોદી” એપમાં જઇ ફરીયાદના સ્થળેથી પોતાના મોબાઇલમાં જીપીએસ લોકેશન ઓન કરી ક્ષતિગ્રસ્ત રસ્તાનો ફોટોગ્રાફ પાડી સીધો જ ફોટો અપલોડ કરી શકશે જે ફરીયાદ થતાં જ અપલોડ થયેલ ફરીયાદ સર્વર મારફતે વિભાગના સંબંધિત સેકશન અધિકારી, નાયબ કાર્યપાલક ઇજનેર અને કાર્યપાલક ઇજનેરને ઇ-મેઇલથી જાણ થશે. સાથે મહત્વની વાત એ છે કે વિભાગના ઇજનેર દ્વારા ફરીયાદ દૂર થયેથી એપમાં તે બાબતની એન્ટ્રી કરાશે જેની જાણકારી એપના માધ્યમથી અરજદાર જાણી શકશે.આ એપ્લીકેશન થકી નાગરિકને પોતે જે રસ્તાની ફરીયાદ કરી છે તે રસ્તો રાજય વિભાગ, પંચાયત વિભાગ કે રાષ્ટ્રીય ધોરીમાર્ગ છે તે પણ જાણવાની જરૂર રહેતી નથી તેમજ નાગરિકને કયા અધિકારીને ફરીયાદ કરવી તે બાબત પણ જાણવાની જરૂરીયાત રહેતી નથી. મોબાઇલના જીપીએસ લોકેશન આધારિત ફોટોગ્રાફથી રસ્તા સાથે સંકળાયેલા ઇજનેરશ્રીઓને આપોઆપ જાણ થઇ જાય છે.ગુજરાત રાજયના માર્ગ અને મકાન વિભાગ હસ્તકના આશરે78,000 કિ.મી. લંબાઇના રસ્તાને લગતી ફરીયાદ કોઈપણ વ્યકિત મોબાઈલ દ્વારા ઉપરોકત એપ માંની “Maramat Form” ની લીંકથી ઓનલાઈન કરી શકશે.આ એપ હાલમાં ”એન્ડ્રોઈડ ફોન” વર્ઝન પર ઉપલબ્ધ છે. જે ટૂંક સમયમાં “iOS Phone” વર્ઝન પર પણ ઉપલબ્ધ થનાર છે.
કેવી રીતે કરી થશે રજુઆત ?
સૌપ્રથમ આ એપ ગૂગલ પ્લેસ્ટોર માંથી ડાઉનલોડ કરી રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. આ એપ દ્વારા પેપરલેસ સીંગલ ક્લિકથી રજૂઆત/ફરિયાદ કરી શકાશે.આ મોબાઈલ એપ માંની લીંકથી રસ્તામાં થયેલ નુકશાન જેમકે, રસ્તા પરના ખાડા, રસ્તા પર પાણીનું ઓવર ટોપીંગ, રસ્તાની સપાટીને નુકશાન, પૂલને નુકશાન તેમજ રસ્તા પર પડેલ ઝાડ વગેરે નુકશાનની વિગતો જે તે સ્થળ ઉપર મોબાઈલ એપમાં ફોટો પાડી રજૂઆત/ફરિયાદ કરી શકાશે.આમ, રસ્તાના મરામતની કોઈપણ રજૂઆત કોઈપણ નાગરીક માર્ગ અને મકાન વિભાગને સરળતાથી કરી શકશે અને માર્ગ અને મકાન વિભાગ દ્વારા સલામત અને સારા રસ્તા ઉપલબ્ધ કરી શકાશે.આ પ્રસંગે માર્ગ મકાન વિભાગના ઉચ્ચ અધિકારીઓએ ઉપસ્થિત રહ્યા હતા.
અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત