સુરત : એક તરફ સુરત શહેરમાં લોકો દિવાળીના પર્વની ઉજવણી કરી રહ્યા હતા. તેવા સમયે દિવાળીની આગલી રાત્રે શહેરના પાંડેસરાના વડોદ ગામમાં ઘરઆંગણે રમતી નિર્દોષ અઢી વર્ષની બાળકીનું ગુડ્ડુ યાદવ નામના નરાધમે અપહરણ કર્યું હતું.આ નરાધમ માસૂમનું અપહરણ કરીને વડોદના ઝાડી ઝાંખરામાં લઈ ગયો હતો અને ત્યાં તેના પર દુષ્કર્મ ગુજારી ગળું દબાવીને હત્યા કરી નાખી હતી.સુરત પોલીસના જવાનોએ દિવસ રાત એક કરીને નરાધમ ગુડ્ડુ યાદવને 2 દિવસમાં ઝડપી લીધો હતો.વડોદ ગામમાં ઝાડીમાંથી બાળકીનો મૃતદેહ મળી આવ્યો હતો.માસુમ બાળકી સાથે ઘાતકી રીતે દુષ્કર્મ આચરનારા નરાધમ ગુડ્ડુ યાદવને મંગળવારે કોર્ટે ફાંસીની સજા ફટકારી હતી. ન્યાયાલયે માસુમ સાથે બર્બરતા આચરનારા નરાધમને ફાંસીની સજા કરી સમાજમાં એક નમૂનારૂપ દાખલો બેસાડ્યો છે.અત્રે એ વાતનો ઉલ્લેખ કરવો જરૂરી છે કે જઘન્ય દુષ્કર્મ આચરનારા નરાધમે કરેલા દુષ્કર્મના કારણે માસુમ બાળકીના આંતરડાં બહાર નીકળી ગયા હતા. કોર્ટે નરાધમ આરોપીને માત્ર 29 દિવસમાં જ ફાંસીની સજા સંભળાવી છે.મંગળવારે પોક્સો કેસોની ખાસ અદાલતના એડીશ્નલ સેશન્સ જજ પી.એસ.કાલાએ નરાધમ આરોપીને કેપીટલ પનીશમેન્ટ અને દંડની સજા કરતો ચુકાદો આપ્યો હતો.આ ચુકાદાને દેશભરમાંથી લોકોએ આવકાર્યો છે.
દિવાળીની આગલી રાત્રીએ માસુમ સાથે દુષ્કૃત્ય કરનારા આ નરાધમને આકરી સજા મળે તે માટે પોલીસ અને સરકારી વકીલ સહિત આ કેસ સાથે જોડાયેલા સંબંધિત લોકોએ ભારે પરિશ્રમ ઉઠાવ્યો હતો. શહેરની પાંડેસરા પોલીસે 7 જ દિવસમાં ચાર્જશીટ રજૂ કરી દીધી હતી અને સરકાર પક્ષે ફક્ત 7 દિવસમાં જ ટ્રાયલ પૂરી કરી હતી. કુલ 69 સાક્ષી પૈકી 27 ને ડ્રોપ કરી સરકાર પક્ષે 42 સાક્ષી ચકાસ્યા હતા.આ કેસમાં સુરત પોલીસે માત્ર 7 દિવસમાં 246 પાનાની ચાર્જશીટ રજૂ કરી હતી અને જેના કારણે જ 17 નવેમ્બરથી આ કેસની પ્રારંભ થયો હતો.આ કેસમાં 6 મુદતમાં જ કાર્યવાહી કરવામાં આવી હતી.સરકાર પક્ષે મુખ્ય જિલ્લા સરકારી વકીલ નયન સુખડવાલાએ સ્પીડી ટ્રાયલ ચલાવીને આરોપીને આકરી સજા અપાવવામાં ભારે જહેમત ઉટાહવી હતી.અત્રે એ વાતનો ઉલ્લેખ કરવો જરૂરી છે કે અગાઉ પણ સુરતની સેશન્સ કોર્ટે 3 વર્ષની બાળકી પર દુષ્કર્મ આચરી હત્યા કરનારા અનિલ યાદવ ફાંસીની સજા ફટકારી છે જોકે,હાલ આ હુકમ સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે.
અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત