સુરત, 17 ડિસેમ્બર : સમગ્ર વિશ્વમાં કોરોનાની મહામારીએ માઝા મૂકી છે. ત્યારે કોરોનાના નવા વેરિયન્ટ ઓમીક્રોન હવે ફરીથી ત્રાટક્યો છે. આ ઓમીક્રોનવેરિયન્ટના પગલે ભારત સરકાર પણ એલર્ટ થઈ ગઈ છે.દેશના વિવિધ રાજ્યોમાં ઓમીક્રોનના દર્દીઓ નોંધાતા કેન્દ્ર સરકારે તેના માટેની એક અલગ ગાઇડલાઇન બહાર પાડી છે જેના આધારે સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ તેમજ સુરત સિવિલ અને સ્મીમેર હોસ્પિટલમાં સંભવિત ઓમીક્રોન માટે અલગથી નવા વોર્ડની વ્યવસ્થા ઉભી કરવામાં આવી રહી છે.
વિશ્વભરમાં છેલ્લા એક મહિનાથી ઓમીક્રોન વેરિયન્ટ સંક્રમિત દર્દીની સંખ્યા વધવા મળી છે.જેના પગલે વિશ્વ આરોગ્ય સંસ્થા પણ ચોકી ઉઠી છે અને વિશ્વભરના દેશોમાં તેના દર્દી વધુ ન થાય તે માટેની પણ તકેદારી રાખવા માટેનો આદેશ બધા દેશોમાં આપી દેવામાં આવ્યો છે.ઓમીક્રોનના દર્દીઓની ભારતમાં થયેલી એન્ટ્રીના પગલે સરકાર સતર્ક બની છે અને નવી ગાઇડલાઇન બહાર પાડવામાં આવી છે.કોરોના સંક્રમિત દર્દીઓ સાથે ઓમીક્રોનના દર્દીઓને ન રાખવાના આદેશ રાજ્ય સરકારને કરવામાં આવ્યા છે.જે સંદર્ભે રાજ્ય સરકારે મહાનગર પાલિકા તેમજ સરકારી હોસ્પિટલમાં નવો પણ અલગથી વોર્ડ બનાવવાનો આદેશ આપ્યો છે.જેના પગલે સુરત મહાનગરપાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલમાં કોવિડ સેન્ટર સાથે અલગથી નવો વોર્ડ બનાવવાની શરૂઆત કરી દેવામાં આવી છે અને અંદાજિત 100 સૌથી વધારે બેડ તૈયાર કરી દેવામાં આવ્યા છે . આ નવા વોર્ડને લઈને હોસ્પિટલમાં આવતા દર્દીઓ અને તેના સંબંધીઓમાં ડરનો માહોલ છવાયો છે. જોકે, આ તૈયારીઓ અગમચેતીના પગલે કરવામાં આવી છે અને તે અત્યંત આવશ્યક પણ છે.હાલ ઓમીક્રોનના દર્દીઓની સંખ્યા ખુબ જ ઓછી છે તેમ છતાં સરકારના નિર્દેશ પર આરોગ્ય વિભાગ કોઈ પણ પ્રકારની કચાશ રાખવા માંગતું નથી.તકેદારીના ભાગરૂપે અલગથી વોર્ડ બનાવવામાં આવ્યો છે તેમજ ઓમીક્રોન સંક્રમિત દર્દીઓની સારવાર માટે દવાનો સ્ટોક કરી દેવામાં આવ્યો છે. આમ, સુરતમાં આરોગ્ય વિભાગ સંભવિત કોઈ પણ પ્રકારની આ મહામારી સામે લડવા સુસજ્જ બન્યું છે.
