સુરત, 26 ડિસેમ્બર : નાણા, ઉર્જા અને પેટ્રોકેમિકલ મંત્રી અને સુરત જિલ્લા પ્રભારી મંત્રી કનુ દેસાઈના હસ્તે ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિ.(GETCO) દ્વારા રૂ.11.45 કરોડના ખર્ચે નવનિર્મિત ૬૬ કેવી લક્ષ્મીનારાયણ સબસ્ટેશનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રોજેક્ટ હેઠળ બાંધકામ ખર્ચ રૂ.1.55 કરોડ, તાંત્રિક સાધનોના ખર્ચ રૂ.5 કરોડ તેમજ અંડર ગ્રાઉન્ડ કેબલનો ખર્ચ રૂ.5.66 કરોડ મળી કુલ રૂ.11.45 કરોડના ખર્ચે સબસ્ટેશન તૈયાર કરવામાં આવ્યું છે.
આ પ્રસંગે મંત્રી દેસાઈએ જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ રાજ્ય સરકાર દ્વારા અવિરત અને સાતત્યપૂર્ણ વીજ પુરવઠો મળી રહે તે હેતુથી દક્ષિણ ગુજરાત વીજ કંપની નવી માળખાગત સુવિધાઓ તેમજ જરૂરી નવા પ્રોજેક્ટ્સ તૈયાર કરી રહી છે. શહેરના વિકાસલક્ષી સુવિધાઓના ભાગરૂપે શહેરીજનોની વીજમાંગને સંતોષવાના ભાગરૂપે નવનિર્મિત 66 કેવી લક્ષ્મીનારાયણ સબસ્ટેશનની કુલ કેપેસીટી 40 એમ.વિ.એ છે. જેનો લાભ અંદાજિત 2214 ઔદ્યોગિક અને 5,000 રહેણાંક તથા વાણિજ્ય મળી કુલ 7214 ગ્રાહકોને મળશે.
GETCO ના ચીફ એન્જિનીયર કે.આર. સોલંકીએ જણાવ્યું હતું કે, ‘આઝાદીના અમૃત મહોત્સવ’ ઉજવણીના ભાગરૂપે 2 ઓક્ટોબરથી ‘ 100 દિવસ-100 લક્ષ્યાંક’ ની ખાસ પહેલથી ગ્રામ્ય વિસ્તારમાં બાકી રહેલા છૂટાછવાયા રહેણાંકમાં કુલ 1400 વીજ જોડાણનું લક્ષ્યાંક નક્કી કર્યું હતું, જેની સામે કુલ 1484 વીજજોડાણનું લક્ષ્યાંક હાંસલ કરાયું છે. આ સાથે ખેતીવિષયક વીજ જોડાણમાં કુલ 3300 વીજ જોડાણના લક્ષ્યાંક સામે કુલ 3466 વીજ જોડાણનું લક્ષ્યાંક સિદ્ધ કરાયો હોવાનું તેમણે ઉમેર્યું હતું.
આ પ્રસંગે સાંસદસી.આર.પાટીલ, કૃષિ,ઊર્જારાજ્યમંત્રી મુકેશ પટેલ, ધારાસભ્ય વિવેક પટેલ, DGVCLના ચીફ એન્જિનનિયર રીટા પરિરા, છોટુ પાટીલ, દામોદર પટેલ, DGVCLના અધિકારીઓ અને કર્મચારીઓ, ઉદ્યોગકારો, કોર્પોરેટરો તેમજ અન્ય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત