સુરત, 28 ડિસેમ્બર : અઠવાગેટ વિસ્તારમાં આવેલી વનિતા વિશ્રામ કોલેજના શિવગૌરી હોલ ખાતે ડિફેન્સ સેક્રેટરી ડૉ.અજય કુમારે 70 વિદ્યાર્થીઓ અને 50 વિદ્યાર્થિનીઓ એમ કુલ 120 NCC કેડેટસની મુલાકાત લીધી હતી.
આ પ્રસંગે ડિફેન્સ સેક્રેટરીએ જણાવ્યું હતું કે, ‘કોરોના મહામારી દરમિયાન જરૂરિયાતમંદોને ફૂડ વિતરણ, ફ્રન્ટલાઈન વર્કર્સને મદદરૂપ થવાની ભાવના સાથે NCC એ કામ કર્યું હતું એ વાતથી ડિફેન્સ સેક્ટર ગર્વ અનુભવે છે. દેશના તમામ નાગરિકોને સમાન અધિકારો મળી શકે એ માટે આપણું શહેર,ગામ, સમાજ અને દેશ સાથે મળીને સર્વાંગી વિકાસ માટે આગળ વધવું જોઈએ. ‘પુનિતસાગર’ અભિયાન થકી 31 ડિસે. 2021 સુધી NCC કેડેટ્સ દ્વારા મહાસાગરો, નદીઓ અને સમુદ્રકિનારાઓને સ્વચ્છ કરવામાં આવી રહ્યાં છે. બોર્ડર્સ અને કોસ્ટલ ક્ષેત્રમાં 1000થી વધુ સ્કૂલ-કોલેજોમાં NCC ની શરૂઆત કરવામાં આવી છે. 15 ઓગષ્ટના દિવસે દિલ્હીના વોર મેમોરિયલ ખાતે શ્રદ્ધાંજલિ અપાશે. જેમાં સમગ્ર દેશના શહીદોને ‘શહીદો કો શત શત નમન’ પ્રોગ્રામ અંતર્ગત NCC કેડેટ્સ અને ઓફિસર્સ શહીદોના પરિવારોને ટોમીનીયોર પ્લાન્ટ (પ્રધાનામંત્રી દ્વારા સહી કરેલ સન્માનપત્ર) અર્પણ કરશે.
અજયકુમારે કેડેટસને માતૃભાષા સિવાય અન્ય એક-બે ભાષાઓ શીખવી જોઈએ તેવો મત વ્યક્ત કર્યો હતો, જેના થકી જ્યારે પણ તેઓ અન્ય કેડેટસને મળે ત્યારે બંને વચ્ચે સન્માન અને આત્મીયતાની ભાવના કેળવાય અને દેશમાં એકતા અને અખંડિતતા જળવાઈ રહેશે. ‘એનસીસી ફોર સ્ટેચ્યુ’ કાર્યક્રમ અંતર્ગત દેશના ગૌરવવંતા વીરલાઓની પ્રતિમાનું સન્માન જાળવીએ એમ જણાવી તેમણે યુવાઓએ ટેકનોલોજી થકી ‘સ્વ’ નો વિકાસ સાધ્ય કરવો આવશ્યક છે એવો મત વ્યકત કર્યો હતો.આ કાર્યક્રમમાં NCC ગ્રુપ વડોદરા હેડક્વાર્ટરના ગ્રુપ કમાન્ડર ડી.એસ.રાવત, NCC ના ઉચ્ચ અધિકારીઓ, આર્મીના અધિકારીઓ અને કેડેટસ ઉપસ્થિત રહ્યા હતા.
અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત