સુરત, 31 ડિસેમ્બર : રાજ્યના નાગરિકોને ઉડ્ડયનની સેવાઓ સત્વરે પુરી પાડવા રાજ્ય સરકારે મક્કમ નિર્ધાર સાથે આગળ વધી રહી છે. જેના ભાગરૂપે આવતીકાલ તા.૧લી જાન્યુ.એ સવારે ૮.૩૦ વાગે સુરત એરપોર્ટ પરથી રાજ્ય સરકારના સહયોગથી વેન્ચુરા એરકનેક્ટ દ્વારા સુરતથી આંતરરાજ્ય હવાઈ સેવાઓનો ઉડ્ડયનમંત્રી પૂર્ણેશભાઈ મોદી, કેન્દ્રીય રેલ્વે મંત્રી દર્શનાબેન જરદોશ તથા સાંસદ સી. આર. પાટીલની ઉપસ્થિતિમાં શુભારંભ કરવામાં આવશે. આ પ્રસંગે ઉડ્ડયન રાજ્યમંત્રી અરવિંદ રૈયાણી, કૃષિ, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ રાજ્ય મંત્રી મુકેશ પટેલ, શહેરી વિકાસ રાજ્યમંત્રી વિનોદ મોરડીયા, મેયર હેમાલી બોઘાવાલાની વિશેષ ઉપસ્થિત રહેશે.
આંતરરાજ્ય હવાઈ સેવા પૂરી પાડનાર સુરતની એરલાઈન્સ કંપની વેન્ચુરા એરકનેક્ટ 1 લિ.જાન્યુઆરી 2022થી 9 સીટર વિમાનો વડે સુરતથી અમદાવાદ, સુરતથી ભાવનગર, સુરતથી રાજકોટ અને સુરતથી અમરેલી; આ 4 સેક્ટર પર દૈનિક ફ્લાઈટ શરૂ કરશે. રાજ્ય સરકાર દ્વારા એરલાઈન્સ કંપની વેન્ચુરા એરકનેકટ સાથે રાજ્યમાં વિવિધ શહેરોને પરસ્પર હવાઈમાર્ગે જોડવા માટે કરાર કરવામાં આવ્યો છે. જેના ભાગરૂપે પ્રારંભ થનાર આ હવાઈસેવા દુનિયામાં સૌથી સુરક્ષિત કેટેગરીમાં સામેલ એવા સેસના ગ્રાન્ડ કેરેવાન દ્વારા પૂરી પાડવામાં આવશે.
વેન્ચુરા દ્વારા વિમાનમાં 9 પેસેન્જર અને 2 પાઈલોટ સાથે ઉડાન ભરશે અને સેકટર પ્રમાણે સુરતથી ભાવનગર 30 મિનિટમાં, સુરતથી અમરેલી 45 મિનિટમાં, સુરતથી અમદાવાદ 60 મિનિટમાં અને સુરતથી રાજકોટ 60 મિનિટમાં સફર પૂર્ણ થશે. રાજ્ય સરકારના સહયોગથી શરૂ થઈ રહેલી આ ઝડપી હવાઈસેવાનો ઈમરજન્સીના સમયે વૃદ્ધ-અશક્તો માટે તો ફાયદો થશે જ, સાથોસાથ ઉદ્યોગો, અને પ્રવાસનને પણ મોટો લાભ થશે. આ એરલાઈન્સનો તમામ વર્ગના લોકો લાભ લઈ શકે તે માટે પ્રારંભિક ધોરણે સંપૂર્ણ જાન્યુઆરી મહિના માટે તમામ સેકટર માટે એકસમાન રૂ.1999 ટિકિટ દર રાખવામાં આવ્યો છે. આમ,નવા વર્ષે સુરતને નવી ઉડ્ડયન સેવાનો સુરતવાસીઓને લાભ મળશે
સુરત આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર યોજાનાર સમારોહમાં રાજ્યના ઉડ્ડયન વિભાગ સચિવ હારિત શુકલા, જિલ્લા કલેક્ટર આયુષ ઓક, સુરત એરપોર્ટ ડાયરેકટર અમન સૈની, કેપ્ટન અજય ચૌહાણ, નિયામક, નાગરિક ઉડ્ડયન અને CEO ગુજસેલ સહિત મહાનુભાવો ઉપસ્થિત રહેશે.
અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત