
સુરત, 22 ફેબ્રઆરી : સમગ્ર દેશમાંથી કોરોનાની ત્રીજી લહેર વિદાય લઇ રહ્યાના અણસારો મળી રહ્યા છે.ત્યારે, ગુજરાતમાંથી પણ આ મહામારી હવે વિદાય લઈ રહી હોય તેવું સ્પષ્ટ ચિત્ર દેખાઈ રહ્યું છે.એક સમયે અમદાવાદ બાદ કોરોનાના દર્દીઓની સંખ્યાની દ્રષ્ટિએ રાજ્યમાં બીજા ક્રમે રહેતા સુરત શહેર-જિલ્લામાંથી કોરોના દિન પ્રતિ દિન ઘટીને હવે સંપૂર્ણપણે વિદાય લઇ રહ્યો હોય તેવી સ્થિતિનું નિર્માણ થઇ રહ્યું છે.છેલ્લા 24 કલાકમાં સુરત શહેર-જિલ્લામાં કુલ 9 કોરોના સંક્રમિત નોંધાયા છે.જયારે શહેર-જિલ્લામાંથી 59 દર્દીઓને ડિસ્ચાર્જ આપવામાં આવ્યો છે.
છેલ્લા 24 કલાકમાં સુરત શહેરમાં નવા 5 દર્દીઓ સાથે શહેરમાં કોરોના ગ્રસ્ત દર્દીઓની કુલ સંખ્યા 1,62,127 અને જિલ્લામાં નવા નોંધાયેલા 4 દર્દીઓ સાથે જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોના ગ્રસ્ત થયેલા દર્દીઓનો કુલ સંખ્યા 42,750 પર પહોંચી છે. આ સાથે સુરત શહેર-જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોના ગ્રસ્ત થયેલા દર્દીઓની કુલ સંખ્યા 2,04,877 પર પહોંચી છે.છેલ્લા 24 કલાકમાં સુરત શહેર-જિલ્લામાં સદભાગ્યે એક પણ મૃત્યુ ન થયું હોઈને મૃતકોનો કુલ આંકડો 2236 યથાવત રહેવા પામ્યો છે.જેમાં સુરતના કુલ 1681 મૃતકો અને જિલ્લાના કુલ 555 મૃતકોનો સમાવેશ થાય છે.છેલ્લા 24 કલાકમાં સુરત શહેરમાંથી 40 અને જિલ્લામાંથી 19 મળીને કુલ 59 દર્દીઓ સ્વસ્થ થતા તેઓને ડિસ્ચાર્જ આપવામાં આવ્યો છે.આ સાથે સુરત શહેર-જિલ્લામાં અત્યાર સુધીમાં ડિસ્ચાર્જ આપવામાં આવેલા કુલ દર્દીઓની સંખ્યા હવે 2,02,424 પર પહોંચી છે.જેમાં જિલ્લાના ડિસ્ચાર્જ પામેલા કુલ 42,120 દર્દીઓનો સમાવેશ થાય છે. મહામારીના વિદાયના પગલે કોરોના એક્ટિવ દર્દીઓની સંખ્યા પણ ઘટીને 217 પર પહોંચી છે.
અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત