
સુરત, 7 માર્ચ : જેનેરિક દવાઓના ઉપયોગ અને જનઔષધિ પરિયોજનાના ફાયદા વિશે જનજાગૃતિ લાવવા માટે દેશભરમાં તા.1 થી 7 માર્ચ દરમિયાન જનઔષધિ સપ્તાહની ઉજવણી કરવામાં આવી છે, ત્યારે ‘તા.7 માર્ચ- જનઔષધિ દિન’ના ઉપલક્ષ્યમાં ‘જનઔષધિ.. જનઉપયોગી’ની થીમ પર ક્રિભકો હજીરા ખાતે જન ઔષધિ દિવસ સમારોહ યોજાયો હતો. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતીય જન ઔષધિ પરિયોજનાના સંચાલકો અને લાભાર્થીઓ સાથે નવી દિલ્હીથી વર્ચ્યુઅલ સંવાદ કર્યો હતો. સુરતના હજીરાના ક્રિભકો ઓડિટોરિયમ ખાતે આયોજિત કાર્યક્રમમાં કેન્દ્રીય રેલવે અને ટેક્ષટાઈલ રાજ્ય મંત્રી દર્શના જરદોશ, મેયર હેમાલી બોઘાવાલા સહિત સુરતના લાભાર્થીઓ, શોપ સંચાલકો વર્ચ્યુઅલી જોડાયા હતા. આ પ્રસંગે વડાપ્રધાનએ સુરત શહેરના કોર્પોરેટર ઉર્વશીપટેલ સાથે રસપ્રદ સંવાદ કર્યો હતો.આ પ્રસંગે સ્થાયી સમિતિના ચેરમેન પરેશ પટેલ, કોર્પોરેટરો, ક્રિભકોના પ્રતિનિધિઓ સહિત સુરતના લાભાર્થીઓ, શોપ સંચાલકો ઉપસ્થિત રહ્યા હતા.

નવી દિલ્હીથી વિડીયો કોન્ફરન્સના માધ્યમથી જનઔષધિ દિવસ સમારોહને સંબોધિત કરતા વડાપ્રધાનએ જણાવ્યું હતું કે, ભારતીય જન ઔષધિ પ્રોજેક્ટનો ઉદ્દેશ પોષણક્ષમ દરે ગુણવત્તાયુક્ત દવાઓ પ્રદાન કરવાનો છે. ધનને બચાવીને જન જનના તન મનને સ્વસ્થ કરવામાં જન ઔષધિ કેન્દ્રો સમાજ સેવાનું મોટું માધ્યમ બન્યા છે. આજ સુધીમાં દેશભરમાં ખુલેલા 8675 જનઔષધિ કેન્દ્રોમાં દેશના કરોડો ગરીબ અને મધ્યમવર્ગીય જનતાને અત્યંત કિફાયતી અને ગુણવત્તાસભર દવાઓ મળી રહી છે. દેશના દરેક જિલ્લામાં એક એક મેડિકલ કોલેજ સ્થાપિત થાય એ કેન્દ્ર સરકારનું આગવું લક્ષ્ય છે એમ જણાવતાં તેમણે ઉમેર્યું કે, કેન્દ્ર સરકારે કેન્સર, ક્ષય, ડાયાબિટીસ, હૃદયરોગ જેવા રોગોની સારવાર માટે જરૂરી 800થી વધુ દવાઓના ભાવ પણ નિયંત્રિત કર્યા છે.

આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી જરદોશે જણાવ્યું હતું કે, પી.એમ. જનઔષધિ કેન્દ્રોમાં મળતી જેનેરિક દવાઓ બ્રાન્ડેડ દવાઓ જેટલી જ સલામત, ગુણવત્તાયુક્ત અને ફાયદાકારક છે. સાથે અન્ય દવાઓની તુલનાએ સસ્તી હોય છે. તેમણે માત્ર એક રૂપિયાના સેનેટરી નેપકીનથી કરોડો મહિલાઓને રાહત થઈ હોવાનું જણાવી 21 કરોડ સેનિટરી નેપકિનનું વેચાણ થયું હોવાનું ઉમેર્યું હતું.

સુરતી હોવા છતાં ખૂબ સરસ હિન્દી બોલો છો..’ વડાપ્રધાનએ સુરતના નગરસેવિકા સાથે કર્યો સંવાદ
સામાજિક કાર્યકર્તામાંથી રાજકારણમાં પ્રવેશી રાજકારણને સેવાનું માધ્યમ બનાવનારા ઉર્વશી નીરવ પટેલ અડાજણ પાલના વોર્ડ નં.10ના કોર્પોરેટર છે. તેમની મહિલા ટીમ દ્વારા ‘પસ્તીદાન, પેડદાન’થી સામાજિક અભિયાન શરૂ કરી પસ્તીના વેચાણમાંથી થતી આવક ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારો માટે ઉપયોગમાં લેવામાં આવે છે.કોર્પોરેટર ઉર્વશી પટેલ સાથે સંવાદ કરી વડાપ્રધાનએ તેમને સુરતી હોવા છતાં ખૂબ સરસ હિન્દી બોલી લો છો એવું જણાવતાં પ્રશંસા કરી પ્રોત્સાહિત કર્યા હતાં.

ઉર્વશીબેને વડાપ્રધાન સાથે વાર્તાલાપ દરમિયાન સુરતમાં જનઔષધિને પ્રમોટ કરવાની તેમની સફર અને જન ઔષધિ કેન્દ્રમાંથી ઓછા ખર્ચે સેનેટરી પેડ્સ ખરીદી જરૂરિયાતમંદ બાળાઓને વિનામૂલ્યે અર્પણ કરવાની તેમના અભિયાનનું વર્ણન કર્યું હતું. વડાપ્રધાનએ રાજકીય કાર્યકર તરીકે તેમની સેવા ભાવનાની પ્રશંસા કરતા કહ્યું કે, રાજકારણ સાથે સમાજ સેવાને જોડવાના પ્રયાસો પ્રેરણાદાયી છે. જેનાથી જાહેર જીવનમાં સેવાની ભૂમિકામાં વધારો થશે. વડાપ્રધાનએ ઉર્વશીબેનને એવું પણ સૂચન કર્યું કે રોગચાળા દરમિયાન પીએમ આવાસ અને PM ગરીબ કલ્યાણ યોજનાના લાભાર્થીઓનો સ્વચ્છતા અંગેની જાગૃતિ વધારવા માટે સંપર્ક કરવો જોઈએ.

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત