
સુરત, 24 માર્ચ : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા આગામી તા.28/03/2022થી 12/04/2022 સુધી ધોરણ-10 (એસ.એસ.સી.) અને ધોરણ-12 (એચ.એસ.સી) વિજ્ઞાન પ્રવાહ, સામાન્ય પ્રવાહની બોર્ડની પરીક્ષા સુરત શહેરના 356 પરીક્ષા કેન્દ્રો પર યોજાનાર છે. આ સમયગાળા દરમિયાન પરીક્ષા દરમિયાન શાંતિ અને સલામતી જળવાઈ રહે, કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ બરકરાર રહે તેવા હેતુથી સુરત શહેર પોલીસ કમિશનર અજયકુમાર તોમરે જાહેરનામા દ્વારા તમામ પરીક્ષા કેન્દ્રોથી 100 મીટરની ત્રિજયાની અંદર 4 કરતા વધુ વ્યકિતઓએ ભેગા થવા કે સભા બોલાવવી કે ભરવી, સરઘસ કાઢવા પ્રતિબંધ ફરમાવ્યો છે. તેમજ તમામ પરીક્ષા કેન્દ્રોના 100 મીટરની ત્રિજયાની અંદર ઝેરોક્ષ સેન્ટર પરીક્ષા દરમ્યાન ચાલુ રાખવા કે વાહનો ઉભા રાખવા નહી. પરીક્ષા કેન્દ્રના બિલ્ડીંગમાં કોઈપણ પરીક્ષાર્થી તેમજ પરીક્ષા સાથે સંકળાયેલ કોઈ પણ કર્મચારીઓ (સરકારી પ્રતિનિધિ સિવાય) મોબાઈલ ફોન, ઈલેક્ટ્રોનિક ડિવાઈસ અથવા કોમ્યુનિકેશન ડિવાઈસ કે સિસ્ટમ રાખવા/લાવવા લઈ જવા પર પ્રતિબંધ રહેશે અને તમામે કોવિડ-19 અંગેની ગાઇડલાઇનનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. પરીક્ષા કાર્યમાં રોકાયેલા તથા સરકારી નોકરીમાં અથવા રોજગારમાં ફરજ ઉપર હોય તેવી વ્યકિતઓને આ હુકમ લાગુ પડશે નહી. હુકમનો ભંગ કે ઉલ્લંઘન કરનાર શિક્ષાને પાત્ર થશે.
અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત