
સુરત, 8 એપ્રિલ : સુરત શહેર પોલીસ વિભાગ દ્વારા પોલીસ પરિવારના યુવક-યુવતિઓને ભવિષ્ય ધડતર માટે તાલીમ સાથે માર્ગદર્શન મળી રહે તે માટે ‘ભવિષ્ય’ કારકિર્દી પ્રેરણા કેન્દ્ર તથા પોલીસ શોપીંગ પ્લાઝા તથા સાયબર ક્રાઈમના રૂમોનું ગૃહરાજયમંત્રી હર્ષ સંધવીએ લોકાર્પણ કર્યું હતું.

પોલીસ મુખ્ય મથક ખાતે તૈયાર થયેલા કેન્દ્રમાં પોલીસ પરિવારના બાળકોને કારકિર્દી માર્ગદર્શનની સાથે ઉત્તમ તાલીમ મળી રહે તે માટેના કેન્દ્રની શરૂઆત કરવામાં આવી છે. આ કેન્દ્રમાં સ્કીલ ડેવલપેમન્ટ, સ્પર્ધાત્મક પરીક્ષાઓની તાલીમ, કોમ્પ્યુટર સ્કીલ જેવી અનેક તાલીમો આપવામાં આવશે. પોલીસ શોપીંગ પ્લાઝામાંથી ડેરીની આઈટમો, શાકભાજી તથા અન્ય જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ પોલીસ પરિવારોને રાહતદરે મળી રહેશે.

આ અવસરે ગૃહરાજયમંત્રીએ પોલીસના પ્રયાસને બિરદાવીને જણાવ્યું હતું કે, રાજયની શાંતિ અને સલામતી માટે દિન-રાત ખડેપગે રહેતા પોલીસ જવાનોના યુવક-યુવતિઓ માર્ગદર્શનથી વંચિત રહી ન જાય તે માટે આ કેન્દ્ર ઉત્તમ કારકિર્દી ધડતર માટે સહાયરૂપ બની રહેશે. આ સેન્ટર શરૂ કરીને સુરત પોલીસની વિચારધારા શું છે તે જાણી શકાય છે. પોલીસ અને સમાજ વચ્ચે અંતર ધટે તે માટે ગૃહવિભાગ દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. પોલીસ દ્વારા વધુમાં વધુ ફૂટ પેટ્રોલિંગ કરીને સમાજમાં રહેલી સમસ્યાઓનું મુંલ્યાકન કરીને તેને દુર કરવાના માટે પ્રયાસો કરવાનો અનુરોધ કર્યો હતો. પોલીસ સ્ટેશને કામ અર્થે આવતા નાગરિકો સાથે પોલીસ દ્વારા માનવિય વર્તન થાય તે જરૂરી હોવાનું જણાવીને ગેર વર્તણુંક કરનારા જવાનો સામે ફરિયાદ આવશે તો તેની સામે કાર્યવાહી કરવામાં આવશે

મંત્રીએ વધુમાં કહ્યું હતું કે, સુરત પોલીસ દ્વારા ગાર્ડનો, વોકિગ ટ્રેક જેવા જાહેરસ્થળોએ સજેશન બોકસ મુકીને સરાહનીય પ્રયાસ કરવામાં આવ્યો છે. જેના સારા પરિણામો મળી રહ્યા છે. તાજેતરમાં બનેલી ઘટના વિશે જણાવતા કહ્યું કે, ઉમરા પોલીસના જવાને સજેશન બોકસની ચિઠ્ઠી વાંચીને તત્કાલ કાર્યવાહી કરીને હનિટ્રેપના કિસ્સામાં વ્યકિતને મદદ કરીને ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડયું છે. વધુમાં તેમણે કહ્યું કે, શહેરની કોઈ પણ મહિલાઓ સીધી પોલીસ સ્ટેશને આવવા માંગતા ન હોય તો સજેશન બોકસમાં પોતાની સમસ્યા એક ચિઠ્ઠી દ્વારા લખીને જણાવી શકે છે. જેના પર પોલીસ દ્વારા તત્કાલ કાર્યવાહી કરવામાં આવશે.

આ અવસરે પોલીસ કમિશનર અજયકુમાર તોમરે જણાવ્યું હતું કે, પોલિસ પરિવારના બાળકો માર્ગદર્શનના અભાવે જોબની વંચિત રહી ન જાય તે માટે કેન્દ્ર શરૂ કરીને વિવિધ સ્પર્ધાત્મક પરિક્ષાઓની તાલીમ તથા અન્ય શૈક્ષણિક તાલીમો આપવામાં આવશે જેના કારણે વિદ્યાર્થીઓને ઉજ્જવળ ભવિષ્યની કારકિર્દી ધડવામાં મદદરૂપ બનશે. કારકિર્દી ધડતર માટે કોર ટીમ બનાવવામાં આવી હોવાની વિગતો તેમણે આપી હતી.

આ અવસરે અધિક પોલીસ કમિશનર પ્રવિણ માલ, ડી.સી.પી.સરોજકુમારી, કેન્દ્રમાં સહયોગ આપનારા જેન્તીભાઈ, કમલેશ યાજ્ઞિક, ચેમ્બર્સના પ્રમુખ આશિષ ગુજરાતી, પોલીસ જવાનો ઉપસ્થિત રહ્યા હતા.

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત