
સુરત, 29 એપ્રિલ : નાનપણથી જ જીવનમાં કંઇક વિશેષ કરવાની તમન્ના ધરાવતા શિક્ષક એવા રવિ રાદડિયાએ વેસ્ટ લાકડાની પ્લાયને બાળી પાયરોગ્રાફી આર્ટ કળા શીખીને અનેક ચિત્રો બનાવીને આત્મનિર્ભર બન્યા છે. આજ રોજ સરસાણા ખાતે આયોજીત ત્રિ-દિવસીય પાટીદાર ગ્લોબલ સમીટમાં પાયરોગ્રાફી આર્ટ કલાથી બનેલા ચિત્રોનું પ્રદર્શન સહ વેચાણ માટે આવેલા શહેરના રવિ રાદડિયાએ કલા વિશે વિગતો આપી હતી. તેમણે કહ્યું કે, મને નાનપણથી જ આર્ટ કલામાં રૂચિ હતી. એક વાર પાયરોગ્રાફી આર્ટની બનાવતાનો વિડિયો યુટ્યુબ પર જોયા અને તે બનાવવાની શરૂઆત કરી. જેમાં સફળતા મળતા શિક્ષકની નોકરી છોડી આર્ટ-કલાને જ પોતાનો બિઝનેશ બનાવી આત્મનિર્ભર બન્યો છું. આજે મને દિલ્હી મુંબઇ તેમજ વિદેશોમાંથી પણ ઓર્ડર મળી રહ્યા છે. કલાના માધ્યમથી દર મહિને રૂ.35 હજારની કમાણી કરી રહ્યો છું.

રવિ રાદડિયાએ વધુ માં કહ્યું કે, “હું નાનપણથી જ આર્ટના વિષયમાં રસ ધરાવતો હતો. પરંતુ સમયની સાથે બી.એસ.સી સુધીનો અભ્યાસ પુર્ણ કર્યા બાદ શાળા શિક્ષક તરીકે નોકરીની સાથે પેઇન્ટિંગ બનાવવાનું શરૂ કર્યું હતું. એક દિવસ મને પાયરોગ્રાફી આર્ટથી ચિત્ર બનાવવાનો વિચાર આવ્યો જેથી મેં યુટ્યબના પર વિડિયો જોયો જેમાં લાકડાને બર્નિંગ કરીને આર્ટ બનાવવામાં આવતા હતા. આ આર્ટકલા ભારત માટે એકદમ નવી હતી. એટલે વિડિઓ જોઈને અલગ અલગ પ્રયોગ કરીને આ પ્રકારનુ આર્ટ શીખવાનું શરૂ કર્યું. ત્યારબાદ પાયરોગ્રાફી આર્ટના અભ્યાસની તપાસ કરી તો ભારતમાં કોઇ પણ કેન્દ્ર ન હતું. જેથી જાત મહેનત અને પ્રયોગો કરી પાયરોગ્રાફી શીખ્યો છું. જેથી શિક્ષકની નોકરી છોડી હવે આ ક્ષેત્રે આર્ટ બિઝનેશને આગળ વધારી રહ્યો છું. પાયરોગ્રાફી આર્ટ પર કામ કરતા મને બે વર્ષ જેવો સમય વિતિ ગયો છે. આખરે મહેનત રંગ લાવી પાયરોગ્રાફી આર્ટની કલાથી હું પોતે આત્મનિર્ભર બન્યો છું. સારી એવી કમાણી થઈ રહી છે. ભવિષ્યમાં હું પાયરોગ્રાફી શીખવા માંગતા લોકો માટે કલાસ શરૂ કરીશ.પાયરોગ્રાફી આર્ટ એટલે કે લાકડાની નેચરલ પ્લાય ઉપર રેણીયા અને લાઈટર વડે લાકડાને બાળીને કરવામાં આવતુ આર્ટ. આ કલામાં કોઈ પણ પ્રકારના કલરનો ઉપયોગ કરવામાં આવતો નથી માત્રને માત્ર લાકડાની પ્લાયને બાળીને ડિઝાઇન તૈયાર કરવામાં આવે છે.

પાયરોગ્રાફી શું છે?

અગાઉ પ્રાચીન ઈજિપ્તવાસીઓ અને આફ્રિકન આદિજાતિ સમુદાયોમાં આ કલા લોકપ્રિય હતી. જેમાં લાકડાને સળગાવીને ફ્રીહેન્ડથી સુશોભન કલાના રૂપમાં ઉપયોગ થાય છે. હોટ ટાઇપિંગ (પાયરોટાઇપ), ઘર્ષણ, એસિડ અને સૂર્યપ્રકાશનો ઉપયોગ કરીને પાયરોગ્રાફી કરવામાં આવે છે.

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત