જરી ઉદ્યોગકારોએ જીઆઇ ટેગનો ઉપયોગ કરી માર્કેટીંગ કરવાનું તથા યુવા પેઢીને જરીની પ્રોડકટ બનાવવાનું શીખવવું પડશે : જરદોશ

સ્થાનિક
Spread the love

સુરત : ભારત સરકારના કાપડ મંત્રાલયની ટેકસટાઇલ કમિટી, હેન્ડીક્રાફટ ડેવલપમેન્ટ કોર્પોરેશન, ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી અને ધી સુરત જરી મેન્યુફેકચરર્સ એસોસીએશનના સંયુકત ઉપક્રમે સોમવાર, 30 મે, 2022ના રોજ સવારે 10:30 કલાકે સમૃદ્ધિ, નાનપુરા, સુરત ખાતે ‘આઇપીઆર પ્રોટેકશન ઓફ યુનિક ટેકસટાઇલ્સ એન્ડ હેન્ડીક્રાફટેડ પ્રોડકટ્‌સ થ્રુ જીઆઇ એન્ડ પોસ્ટ જીઆઇ ઇનીશીએટીવ્સ’ વિષય ઉપર વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભારતના કેન્દ્રીય ટેકસટાઇલ્સ અને રેલ્વે રાજ્ય મંત્રી દર્શના જરદોશ મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહયા હતા. જયારે ટેકસટાઇલ્સ કમિટીના સેક્રેટરી અજિત બી. ચવાણે અતિથિ વિશેષ તરીકે સ્થાન શોભાવ્યું હતું. આ વર્કશોપમાં ધારાસભ્ય અરવિંદ રાણા પણ ઉપસ્થિત રહયા હતા.આ વર્કશોપમાં કેન્દ્રીય ટેકસટાઇલ્સ રાજય મંત્રી દર્શના જરદોશના હસ્તે જરીના 18 ઉદ્યોગકારોને જીઆઇ સર્ટિફિકેટ આપવામાં આવ્યું હતું.
ટેકસટાઇલ કમિટી દવારા વર્ષ 2010થી જ સુરત જરીના જીઆઇ રજિસ્ટ્રેશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. તે સંદર્ભે આજે નવા 18 ઓથોરાઇઝ યુઝર્સનો ઉમેરો કરવામાં આવ્યો હતો. ઉદઘાટન સમારોહ પછી‘હાઉ ટુ લેવરેજ સુરત જરી ફોર બેનીફિટ ઓફ ઓલ વેલ્યુ ચેઇન એકટર્સ’ વિષય ઉપર બ્રેઇન સ્ટોર્મિંગ સેશન યોજાયું હતું. સીએમએઆઇના ચીફ મેન્ટર રાહુલ મહેતાએ સેશનનું સંચાલન કર્યું હતું. તેમની સાથે એનઆઇડી– અમદાવાદથી બે નિષ્ણાતો જોડાયા હતા અને તેમાંથી એક લેકમે ફેશનના ઓર્ગેનાઇઝર હતા. સાથે જ મધ્યપ્રદેશ સરકારના જીઆઇના નિષ્ણાત પણ જોડાયા હતા.

ભારતના કેન્દ્રીય ટેકસટાઇલ્સ રાજય મંત્રી દર્શના જરદોશે જણાવ્યું હતું કે, જરી ઉદ્યોગકારો નવી મશીનરી, નવી ટેકનોલોજી, નવી ડિઝાઇનો, જરી આર્ટીસ્ટોની સ્કીલ અપગ્રેડેશન સાથે ઓનલાઇન માર્કેટીંગ ચેનલનો ઉપયોગ કરી વિશ્વભરમાં બ્રાન્ડ ડેવલપ કરવી જોઇએ. અંતમાં તેમણે જણાવ્યું હતું કે, ચેમ્બર અને જરી એસોસીએશન તેમના તમામ કાર્યક્રમોમાં જીઆઇ પ્રોડકટ વિશે માહિતી લોકોને આપે.સુરતમાં અલગ અલગ પ્રકારની જરીની પ્રોડકટ બને છે. જરી બનાવવા માટે ઘણી મહેનત લાગે છે અને એની પ્રોડકટ પણ ખૂબ જ મોંઘી હોય છે. તમિળનાડુ અને વારાણસી વિગેરે અન્ય રાજયોમાં જવાનું થાય છે ત્યારે ત્યાં ખબર પડે છે કે અહીં સુરતની જરી આવે છે. આથી જરી ઉદ્યોગને ડેવલપ કરવો પડશે. જેમ કાશ્મીરમાં નવી પેઢીને કાશ્મીરી શાલ બનાવવાનું શીખવાડવામાં આવ્યું છે તેમ સુરતમાં પણ જરી ઉદ્યોગકારોએ તેમની યુવા પેઢીને જીઆઇ ટેગનો ઉપયોગ કરીને માર્કેટીંગ કરવાનું છે અને જરીની પ્રોડકટ બનાવવાનું શીખવવું પડશે. આ યુવા પેઢીએ જરી ઇન્ડસ્ટ્રીને સપોર્ટ કરવાનો છે અને પ્રોડકટમાં વેલ્યુ એડીશન કરવાની છે.

ટેકસટાઇલ કમિટીના સેક્રેટરી અજિત બી. ચવાણે જરીના ઉદ્યોગકારોને જરી ઉદ્યોગ માટે ઉપયોગી એવી વિસ્તૃત માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, સુરત જરીના નામે દેશમાં અથવા વિદેશમાં કોઇ ઇમીટેશન નહીં કરી શકે તે જીઆઇ સર્ટિફિકેશન આપવા પાછળનો મુખ્ય હેતુ છે. જીઆઇ અંતર્ગત 417 પ્રોડકટ રજિસ્ટર્ડ કરવામાં આવ્યા છે. એમાંથી 231 યુનિક ટેકસટાઇલના પ્રોડકટ છે. ટેકસટાઇલ કમિટીએ ૬૯ પ્રોડકટને રજિસ્ટર્ડ કરવા માટે મહત્વનું યોગદાન આપ્યું છે અને અન્ય 49 જેટલા ક્રાફટને આઇડેન્ટીફાય કર્યા છે તથા આગામી દોઢ વર્ષમાં તેમના પ્રોડયુસર અને વિવર્સને પણ પ્રોટેકશન આપી શકાશે.
ટેકસટાઇલ કમિટીના ડાયરેકટર (એમઆર) ડો. તપન કુમાર રાઉતે જરી ઉદ્યોગમાં કવોલિટી પ્રોડકશન માટે જીઆઇ સર્ટિફિકેશન વિશે ઉદ્યોગકારોને સમજણ આપી હતી.

ચેમ્બરના પ્રમુખ આશીષ ગુજરાતીએ સ્વાગત પ્રવચન કરતા જણાવ્યું હતું કે, જરીનો ઉપયોગ ઘણા વર્ષો પહેલાથી થાય છે પણ જરીને જીઆઇ સર્ટિફિકેટ મળે એટલે પ્રોડકટની વેલ્યુ વધી જશે. ચેમ્બર દ્વારા વૈશ્વિક કક્ષાએ આ બાબતે માર્કેટીંગ કરવામાં આવશે. ફ્રાન્સ પછી આપણો બીજો નંબર આવે છે ત્યારે એના માટે કેપીટલાઇઝેશન કરવું જોઇએ.
સ્પેશિયલ ગેસ્ટ તરીકે સીએમએઆઇના ચીફ મેન્ટર રાહુલ મહેતાએ જણાવ્યું હતું કે, જરી ઉદ્યોગકારોએ બદલાવ લાવવો પડશે. ઘણા લોકો પ્રોડકટ ઉપર રિસર્ચ કરે છે પણ માર્કેટ અંગે પણ રિસર્ચ કરવું પડશે. માર્કેટ સ્ટડી કરીને કસ્ટમર અને પ્રોડકટ વિશે રિસર્ચ કરી આગળ વધવું પડશે.
ડિઝાઇનર બેલા સંઘવીએ જણાવ્યું હતું કે, જરીની સાડીઓ તથા અન્ય પ્રોડકટ બનાવવાની જૂની પદ્ધતિ આજની નવી પદ્ધતિ કરતા ઘણી સારી હતી. આથી યુવા પેઢીએ એના ઉપર ફોકસ કરવો જોઇએ. આ ઉપરાંત જરીની પ્રોડકટ માટે યુરોપ તથા અમેરિકાના ડેવલપ માર્કેટમાં રિસર્ચ કરવાની જરૂર છે. સાથે જ વિશ્વમાં પ્લાસ્ટીક જરીની પ્રોડકટની માંગ વધી ત્યારે આ અંગે રિસર્ચ કરવાની તેમજ આ પ્રોડકટને ઓરિજીનલ જરીમાં કઇ રીતે કન્વર્ટ કરી શકાય તે દિશામાં રિસર્ચ કરવાની જરૂર છે.

ચેમ્બરના ગૃપ ચેરમેન બિજલ જરીવાલાએ વર્કશોપનું સંચાલન કર્યુ હતું. અંતે સુરત જરી મેન્યુફેકચરર્સ એસોસીએશનના પ્રમુખ નવીન જરીવાલાએ સર્વેનો આભાર માની વર્કશોપનું સમાપન કર્યું હતું.

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *