
સુરત, 6 જૂન : કેન્દ્ર સરકારના ગ્રામીણ વિકાસ મંત્રાલય અને ગ્રામ વિકાસ વિભાગ ગુજરાત સરકારના સંયુક્ત ઉપક્રમે સમગ્ર રાજ્યમાંથી કલાત્મક ચીજવસ્તુઓનું ઉત્પાદન કરતા ગ્રામીણ મહિલા સ્વસહાય જૂથો દ્વારા ઉત્પાદિત ચીજવસ્તુઓના વેચાણ માટે અડાજણ ખાતે “સખી મેળો તેમજ વંદે ગુજરાત પ્રદર્શન”ને જનતા જનાર્દનનો અપાર સ્નેહ અને આવકાર મળ્યો છે. આ 6 દિવસીય મેળામાં મહિલાઓએ રજુ કરેલી કલાત્મક ચીજવસ્તુઓ અને જાતે બનાવેલ અન્ય ખાધ પદાર્થોને જનતાનો બહોળો પ્રતિસાદ મળ્યો છે. સખી મંડળની મહિલાઓને સારો એવો વ્યવસાય મળ્યો છે જેથી તેઓના જોમ જુસ્સોમાં વધારો થયો છે.

જનતાની સાથે સાથે સ્ટોલ ધારકોનો ઉત્સાહ વધારવા ધારાસભ્યો,મેયર, ડેપ્યુટી મેયર, યુવા સંગઠનો, યુવા કાર્યકર્તા, ન્યાય સમિતિ વિભાગ અને વિવિધ એનજીઓએ ખરીદી કરીને તેઓને પ્રોત્સાહન પુરૂ પાડયું છે.

અડાજણ ખાતેના હનીપાર્ક, એસ.એમ.સી.પાર્ટી પ્લોટ ખાતે તા.31મી મેના રોજથી શરૂ થયેલા મેળામાં રોજેરોજ યોજાતા અલગ અલગ સાંસ્કૃતિક કાર્યક્રમો પણ ખાસ આકર્ષણનું કેન્દ્ર બની રહ્યા હતા. પ્રથમ દિને રૂા.1.69 , બીજા દિવસે રૂા.4.18, ત્રીજા દિવસે રૂા.6.98,ચોથા દિવસે રૂા. 12.56, પાંચમાં દિને રૂા.24.17 અને છઠા દિવસે રૂા.27.92 લાખની ચીજવસ્તુઓનું વેચાણ થયું હતું. શનિવાર અને રવિવાર હોવાના કારણે મેળાના છેલ્લા બે દિવસ સૌથી વધારે મુલાકાતીઓએ ખરીદી કરી હતી. સખી મેળાની આ સફળતા જોતા જનતાની સાથે સ્ટોલ ધારકોએ ગુજરાત સરકારની લાઇવલીહુડ પ્રમોશન કંપનીનો આભાર વ્યક્ત કરતા વારંવાર આવા મેળા યોજાતા રહે તેવી લાગણી વ્યક્ત કરી હતી.

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત