સુરત : શહીદોની સ્મૃત્તિમાં લિંબાયતના નિલગીરી મેદાન ખાતે ‘વીરાંજલિ’ કાર્યક્રમ યોજાયો

Uncategorized સ્થાનિક
Spread the love

સુરત, 14 જૂન : રમત-ગમત, યુવા સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ-ગાંધીનગરના ઉપક્રમે લિંબાયતના નિલગીરી મેદાન ખાતે વીરાંજલિ સમિતિ દ્વારા દેશના સ્વાતંત્ર્ય માટે પોતાના પ્રાણની આહૂતિ આપનારા વીર ક્રાંતિકારીઓની શહાદતની ઝાંખી કરાવતો ‘વીરાંજલિ’ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં પ્રખ્યાત સાહિત્યકાર સાંઈરામ દવે સહિતના 150 જેટલા કલાકારોએ મલ્ટીમીડિયા શૉ થકી વતનના વિસરાયેલા વીરોની ગાથા રજૂ કરી હતી. ઈ..સ.1857ના પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામથી લઈ શહીદ ભગતસિંહ, રાજગુરૂ અને સુખદેવને અંગ્રેજોએ ફાંસીના માંચડે ચઢાવ્યા ત્યાં સુધીની ઐતિહાસિક તવારીખને પ્રતિભાશાળી કલાકારોએ તખ્તા પર જીવંત કરી હતી.

આ પ્રસંગે ધારાસભ્ય સંગીતા પાટિલે વિરાંજલિ કાર્યક્રમો રાષ્ટ્રભક્તિની જ્યોત પ્રજ્વલિત કરવાનો પ્રેરણાસ્ત્રોત બનશે એમ જણાવી માતૃભૂમિ માટે બલિદાન આપનારા એવા વીર સપૂતોની વંદનાનો આ કાર્યક્રમ સુરતવાસીઓ માટે દેશભક્તિનો લ્હાવો બન્યો છે, ત્યારે નવી પેઢી દેશના શહીદોએ આપેલા બલિદાન અને આઝાદીના સંગ્રામના ભવ્ય ઈતિહાસને ભૂલે નહીં એ જરૂરી છે એમ ઉમેર્યું હતું.

જિલ્લા કલેક્ટર આયુષ ઓકે જણાવ્યું કે, નાગરિકોમાં રાષ્ટ્રભક્તિની ભાવના અને સંસ્કારો ઉજાગર થાય એવા ઉદ્દેશ સાથે વીર ક્રાંતિવીરોની અજાણી અને દિલધડક વાતો વીરાંજલિ કાર્યક્રમમાં માણવા મળે છે. દેશ માટે ફાંસીના તખ્તા પર ચડી જનારા અમર શહીદ ભગતસિંહ, સુખદેવ અને રાજગુરૂના જીવનચરિત્રને જાણવા અને માણવાનો આ અવસર છે.

આ પ્રસંગે ધારાસભ્ય અરવિંદ રાણા, પ્રવિણ ઘોઘારી, સંગિતા પાટીલ, જિલ્લા કલેક્ટર આયુષ ઓક, મેયર હેમાલી બોઘાવાલા, શહેર સંગઠન અધ્યક્ષ નિરંજન ઝાંઝમેરા, સ્થાયી સિમિત ચેરમેન પરેશ પટેલ, અગ્રણી મહેન્દ્ર પટેલ, શાસક પક્ષ નેતા અમિતસિંહ રાજપૂત, નાટકના દિગ્દર્શક વિરલ રાચ્છ, જિલ્લા રમતગમત અધિકારી(સુરત શહેર) દિનેશ કદમ, જિલ્લા રમતગમત અધિકારી(સુરત ગ્રામ્ય) વિરલ પટેલ, જિલ્લા યુવા વિકાસ અધિકારી રાધિકા લાઠીયા સહિત કોર્પોરેટરો, જાગૃત્ત રાષ્ટ્રવાદી નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *