
સુરત, 11 જુલાઈ : સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં પડી રહેલા ભારે વરસાદ તથા આગામી દિવસોમાં ભારે વરસાદની આગાહીને ધ્યાને લેતા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા અગમચેતીના ભાગરૂપે લેવામાં આવી રહેલા પગલાઓની વિગતો આપતા જિલ્લા કલેકટર આયુષ ઓકે જણાવ્યું હતું કે, ભારે વરસાદના કારણે સુરત જિલ્લામાં 28 જેટલા કોઝવે, નાળા પરના રસ્તાઓને બંધ કરવામાં આવ્યા છે. ઉમરપાડા તાલુકામાં 13 ઈચ વરસાદ પડવાને કારણે તાલુકાના 8 જેટલા મેજર રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે. ઉમરપાડાના 56 જેટલા ગામોમાં કાચા મકાનોમાં રહેતા રહીશોને સ્થળાંતર કરવામાં આવી રહ્યા છે. જયારે આ ગામોમાં આવેલા તળાવ, જળાશયો, ડેમોમાં કોઈ પણ માછીમારી ન કરે તે અંગેની સુચનાઓ પણ ગ્રામજનોને આપવામાં આવી છે. હાલ જિલ્લામાં કોઈ માનવની જાનહાનિ ન હોવાનું કલેકટરએ જણાવ્યું હતું.
કલેકટરએ વધુમાં જણાવ્યું હતું કે, ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે કાકરાપાર વિયરમાંથી60,000 કયુસેક પાણી છોડવામાં આવ્યું છે જેના કારણે હરિપુરા કોઝવેને બંધ કરવામાં આવ્યો છે. એન.ડી.આર.એફની એક ટીમ વધારી ટીમ વડોદરાની આવી હોવાથી ઓલપાડ તહૈનાત રાખવામાં આવી છે. વધુ એક એસ.ટી.આર.એફ.ની ટીમ મંગાવવામાં આવી છે જે માંગરોળમાં તહૈનાત કરવામાં આવનાર હોવાની વિગતો આપી હતી.
નોંધનીય છે કે,5 તાલુકાના 28 નદી-નાળાના રસ્તાઓ બંધ કરાતા તકેદારીના ભાગરૂપે પોલીસ, હોમગાર્ડ, જી.આર.ડી. જવાનો તહેનાત કરવામાં આવ્યા છે.
અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત