
સુરત,11 જુલાઈ : સુરત શહેરના સલાબતપુરામાં શિક્ષકની નોકરી કરતી મહીલાને તેમનાં પતિએ ઝગડો કરી નાની દિકરી સાથે ઘર બહાર કાઢી મુકતાં મહિલાએ 181 અભયમ મહિલા હેલ્પ લાઇનને જાણ કરતા અભયમ રેસ્કયું ટીમ કતારગામ સ્થળ પર પહોંચી હતી. તેમના પતિને યોગ્ય જાણકારી આપીને સમાધાન કરાવીને માતા-પુત્રીને ઘરમાં પ્રવેશ અપાવ્યો હતો.
મળતી માહિતી મુજબ કતારગામ વિસ્તારમાં શિક્ષકની નોકરી કરતી મહિલાના પતિ મિલમાં નોકરી કરે છે પરતું ઘરે પગાર આપતાં નથી. અંગત ખર્ચમાં વાપરી નાખે છે. જેથી બન્ને વચ્ચે અવાર-નવાર આ બાબતને લઇ ઝગડાઓ થતાં હતાં. ગત રોજ આજ કારણથી બને વચ્ચે ઝગડો થતા પતિએ પત્નીને માર મારી દિકરી સહિત ઘર બહાર કાઢી મુક્યા હતાં. દરવાજે તાળું મારી દેતા મહિલા મુશ્કેલીના સમયે મદદ માટે 181 મહિલા હેલ્પ લાઇનમાં કોલ કર્યો હતો. જેથી અભયમ રેસ્કયું ટીમ કતારગામ સ્થળ પર પહોંચી પતિને જણાવ્યું કે, આ રીતે પત્નીને મારઝૂડ કરવા તે ગુનો બને છે. પતિને પરિવારનું ગુજરાન ચલાવવાની જવાબદારી અને કાયદાકીય ઊભી થતી સજા બાબતે માહિતી આપી હતી. જેથી પતિ એ પોતાની ભૂલ કબુલી માફી માગી હવે પછી પત્નિને હેરાન કરશે નહિ તેવી બાહેધરી આપી હતી. આમ બન્ને વચ્ચે સમાધાન કરાવવામાં આવ્યું હતું. પોતાને મળેલ મદદ બદલ મહિલાએ અભયમ ટીમ નો આભાર માન્યો હતો.
અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત