
સુરત, 13 જુલાઈ : આઝાદીના અમૃત મહોત્સવ’ અંતર્ગત છેલ્લા બે દાયકામાં ગુજરાતે વિકાસની ભરેલી વિકાસની હરણફાળને જનજન સુધી પહોચાડવા માટે ‘વંદે ગુજરાત વિકાસ યાત્રા’નો રથ બારડોલી તાલુકાના ઈસરોલી ગામે આવી પહોચ્યો હતો. જ્યાં ધારાસભ્ય ઈશ્વર પરમાર તથા બાળાઓએ કુમકુમ તિલક કરી વંદે ગુજરાત વિકાસ યાત્રાના વધામણા કર્યા હતા. વંદે ગુજરાત રથે વહેલી સવારથી બારડોલી તાલુકાના ઈસરોલી, વાંકાનેર, આફવા, ગોજી ગામે પરિભ્રમણ કર્યું હતું, જયાં ઠેર-ઠેર ગ્રામજનોએ રથનું ઉમળકાભેર સ્વાગત કર્યુ હતું. આ ગામોમાં રૂા.30 લાખના વિવિધ વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત તથા લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે આયોજિત કાર્યક્રમને સંબોધન કરતા ધારાસભ્ય ઈશ્વરપરમારે જણાવ્યું કે, છેવાડાના ગ્રામ્ય વિસ્તારના લોકોની સુખ-સુવિધાઓમાં વધારો થાય તે માટે રાજ્ય સરકાર નિરંતર પ્રયાસ કરી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નાના બાળકોથી લઈને ખેડૂતો તેમજ સિનીયર સિટીઝન સુધીના તમામ નાગરિકોની કાળજી લેવા માટે અનેકવિધ યોજનાઓ અમલી બનાવી છે, જેનો લાભ કરોડો દેશવાસીઓ મેળવી રહ્યા છે.

વધુમાં ધારાસભ્યએ કહ્યું હતું કે, 20 વર્ષનો વિશ્વાસ અને 20 વર્ષનો વિકાસ એટલે વંદે ગુજરાત વિકાસ યાત્રા. આ યાત્રા થકી સરકારની વિકાસલક્ષી યોજનાઓ ઘર ઘર સુધી પહોંચી રહી છે. વંદે વિકાસ રથ ગામડે ગામડે ફરી ગામજનોને સરકારની યોજનાની તમામ માહિતી પુરી પાડી રહ્યો છે. સરકારે છેલ્લા બે દાયકા દરમિયાન વિકાસના નીત નવા સોપાનો સર કર્યા છે. ‘વંદે ગુજરાત વિકાસ યાત્રા’ ગુજરાતે સાધેલા અપ્રતિમ વિકાસની વાતને જનજન સુધી પહોચાડવાનું ઉમદા માધ્યમ બની રહ્યું છે હોવાનું તેમણે કહ્યું હતું.

આ વેળાએ સગર્ભા-ધાત્રી માતાઓને પોષક આહારની કીટનું વિતરણ કરવાની સાથે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાઓના લાભાર્થીઓને પ્રતિકાત્મક રીતે આયુષ્માન કાર્ડનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું. મહેમાનોને ઔષધીય છોડ આપી તેના જતન માટે પ્રતિજ્ઞા ગ્રહણ કરાવવામાં આવી હતી. આ પ્રસંગે તાલુકા પંચાયતના સદસ્ય પદ્મા હળપતિ, અગ્રણી જયંતિ પટેલ, જયેશ પટેલ તથા કિશન પટેલ, ઈસરોલી ગામના સરપંચ આશા હળપતિ, વાંકાનેર ગામના સરપંચ નિકિતા બાળીયા, આફવા ગામના સરપંચ સુધા ધોળીયા, ગોજી ગામના સરપંચના કિશોર હળપતિ, ગ્રામજનો તથા લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત