
સુરત, 17 જુલાઈ : દેશના વિવિધ ભાગોમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના હાલ પરિણામો આવી રહ્યા છે.ત્યારે મધ્યપ્રદેશના સિંગરૌલી મ્યુનિસિપલ કોર્પોરેશનમાં આમ આદમી પાર્ટીએ કર્યો છે.આ જીતની સુરત શહેર આમ આદમી પાર્ટી દ્વારા ઉજવણી કરવામાં આવી હતી.રવિવારે સાંજે સુરત શહેરના સીમાડાનાકા વિસ્તારમાં બીઆરટીએસ રોડ પર આવેલા ” આપ “ના મધ્યસ્થ કાર્યાલય પર મોટી સંખ્યામાં આપ ના કાર્યકર્તાઓ એકત્રિત થયા હતા અને નગારાના તાલે ઝૂમી અને એક બીજાને મીઠાઈ ખવડાવીને આ વિજયની ઉજવણી કરી હતી.
આ જીત પર ખુશી વ્યક્ત કરતાં આમ આદમી પાર્ટીના નેશનલ જોઈંટ જનરલ સેક્રેટરી ઇસુદાન ગઢવીએ જણાવ્યું કે, આજે આમ આદમી પાર્ટી ની નહિ પણ સિંગરૌલી ની જનતાની જીત છે. ફરી એકવાર સાબિત થઈ ગયું છે કે આમ આદમી પાર્ટી દ્વારા શરૂ કરાયેલ પરિવર્તન ની રાજનીતિ હવે દેશમાં દરેક જગ્યાએ અપનાવવામાં આવી રહી છે. ભાજપ અને કોંગ્રેસ ની ભ્રષ્ટાચાર ની રાજનીતિને બદલે આમ આદમી પાર્ટીની પ્રામાણિક રાજનીતિ અપનાવવા બદલ હું સિંગરૌલી ના લોકોનો આભાર વ્યક્ત કરું છું.

આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઈટાલિયાએ કહ્યું કે, સિંગરૌલીના લોકો આજે ભાજપ અને કોંગ્રેસ પર ઝાડું મારી દીધું છે. અરવિંદ કેજરીવાલની કટ્ટર પ્રામાણિક રાજનીતિને લોકો મધ્યપ્રદેશમાં અપનાવી રહ્યા છે તે ખૂબ જ ખુશીની વાત છે. અમને પૂરો વિશ્વાસ છે કે જે રીતે દિલ્હીમાં લોકો માટે ઐતિહાસિક કામો થયા છે, તે જ રીતે સિંગરૌલી શહેરમાં પણ આમ આદમી પાર્ટી તે કાર્યો કરશે. તેવી જ રીતે આગામી સમયમાં ગુજરાતની જનતા પણ આગામી વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી ને પૂર્ણ બહુમતી આપી ને દેશના રાજકારણમાં એક નવો અધ્યાય શરૂ કરશે.
અત્રે ઉલ્લેખનીય છે કે સિંગરૌલી આખા દેશની પહેલી એવી મ્યુનિસિપલ કોર્પોરેશન છે જેમાં આમ આદમી પાર્ટી પૂર્ણ બહુમતી સાથે જીતી છે. આમ આદમી પાર્ટીના મેયર પદ ના ઉમેદવાર પણ પોતાની જીત નોંધાવી ચુક્યા છે.
અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત