
સુરત, 26 સપ્ટેમ્બર : વાહનવ્યવહાર, નાગરિક ઉડ્ડયન,પ્રવાસન અને યાત્રાધામ વિકાસમંત્રી પૂર્ણેશ મોદીના હસ્તે સુરતના સરસાણા કન્વેન્શન સેન્ટર, પ્લેટીનમ હોલ ખાતે રાજ્યના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ તથા સુરત મહાનગર પાલિકા દ્વારા આયોજિત સમરોહમાં 1432 ઉમેદવારોને રોજગાર નિમણૂંકપત્રો અને એપ્રેન્ટિસશિપ કરારપત્રો અર્પણ કરાયા હતા, જેમાં SMCમાં 636, એપ્રેન્ટિસશીપમાં 350, GMDCમાં 5, GSRTCમાં 29, RTO વિભાગમાં 12 તથા રોજગાર વિભાગથી 400 એમ કુલ 1432 ઉમેદવારોને કરારપત્રોનું વિતરણ કરાયું હતું. તેમજ 5900 લોકોને ઓનલાઇન નિમણુંકપત્રો અને એપ્રેન્ટિસશિપ કરારપત્રો મોકલવામાં આવ્યા હતા.

આ પ્રસંગે મંત્રી મોદીએ જણાવ્યું હતું કે,મર્યાદિત સરકારી નોકરીઓની સામે આજે રાજ્ય સરકારના પ્રયાસોથી પ્રાઇવેટ સેક્ટરમાં રોજગારીની નવીન તકોનું નિર્માણ થયું છે. સરકાર માત્ર તાલીમ અને કૌશલ્યવર્ધન જ નહીં, પરંતુ શ્રેણીબદ્ધ રોજગાર મેળાઓનું આયોજન કરી યુવાઓને રોજગારીના અવસરો ઉપલબ્ધ કરાવ્યા છે.સુવિધાજનક વિકાસકામો, પ્રજાહિતને સ્પર્શતા પ્રોજેક્ટોના કામોમાં પણ અનેક લોકોને રોજગારી પ્રાપ્ત થઇ રહી છે, સરકારના મહત્વના પ્રોજેકટોમાં નાના-મોટા અનેક વર્ગોના લોકોને મહત્તમ રોજગારી મળી રહે તેના પર પણ સરકાર વિશેષ ધ્યાન આપી રહી છે.

રાજ્ય તથા રાષ્ટ્રમાં ઔદ્યોગીકરણનો વ્યાપ વધ્યો છે એનો ઉલ્લેખ કરતા મંત્રીએ ઉભરી રહેલા નવા ક્ષેત્રોમાં વ્યવસાયલક્ષી શિક્ષણ મેળવેળા કુશળ ઉમેદવારોને રોજગારી-સ્વરોજગારીની વિપુલ તકો મળી રહી છે. ગુજરાત રાજ્યમાં એક લાખ જેટલા રોજગારવાંચ્છુ યુવક યુવતીઓનું સ્કીલ ડેવલપમેન્ટ, તાલીમબદ્ધ કરવા સાથે નિયત સ્ટાઇપેન્ડ આપવાના ધ્યેય સાથે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્યમાં મુખ્યમંત્રી એપ્રેન્ટીસશીપ યોજના’નું સુદ્રઢ અમલીકરણ કર્યું છે.

વર્ષ 2002થી રોજગાર આપવામાં ગુજરાત અગ્રેસર છે એમ જણાવી મંત્રીએ તાલીમબદ્ધ અને સ્કીલ્ડ યુવાધનને ઝડપથી રોજગાર મળે તેવો લક્ષ્યાંક સેવ્યો છે એમ તેમણે કહ્યં હતું. મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું કે, દક્ષિણ અને મધ્ય ગુજરાતને સૌરાષ્ટ્ર સાથે જોડતા અનેક રસ્તાઓને તૈયાર કરી માસ ટ્રાન્સપોર્ટેશનને સરળ બનાવ્યું છે. સ્મુધ ટ્રાન્સપોર્ટ કનેક્ટિવિટીથી પ્રવાસનક્ષેત્રને અઢળક ફાયદો થઇ રહ્યો છે, અને રોજગારીની વિપુલ તકોનું સર્જન થઇ રહ્યું છે. દેશના પ્રત્યેક નાગરિકને શિક્ષણ, આરોગ્ય, વેપાર તેમજ ઉદ્યોગને જોડતી માસ કનેક્ટિવિટી પ્રદાન કરી આત્મનિર્ભરતા તરફ આગેકૂચ કરવાના સરકારના સંકલ્પને યથાર્થ કરવાની નેમ મંત્રીશ્રીએ વ્યક્ત કરી હતી.

આ પ્રસંગે ધારાસભ્ય વિવેક પટેલ, ડે.મેયર દિનેશ જોધાણી, ડે. મ્યુ.કમિશનર સ્વાતિ દેસાઇ, દંડક વિનોદ પટેલ, રોજગાર અધિકારી એસ.કે.ગોહિલ તેમજ રોજગાર અને એપ્રેન્ટીસ ઉમેદવારો ઉપસ્થિત રહ્યા હતા.
અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત