
સુરત, 12 જાન્યુઆરી : એન.સી.સી.ના 75 વર્ષની ઉજવણીના ભાગરૂપે ગુજરાત, દાદર નગર હવેલી, દમણ અને દીવ એન.સી.સી. ડાયરેક્ટર દ્વારા ગાંધીજીના દાંડીકૂચ મૂલ્યોનું અનુકરણ કરતા સાબરમતી આશ્રમથી દાંડી સુધી યોજાયેલી સાયકલ રેલીનો સુરતમાં પ્રવેશ થયો હતો. તા.7 જાન્યુઆરીએ રાજ્યપાલ દ્વારા ફ્લેગ ઓફ થયેલી 25 કેડેટ્સની સાયકલ રેલી આશરે 350 કી.મીનું અંતર કાપી સુરતમાં છાપરાભાઠા વિસ્તારથી પ્રવેશી અને અડાજણ સ્થિત બદ્રીનાથ મંદિર ખાતે રાત્રી રોકાણ કર્યું હતું. વડાપ્રધાનના ‘આત્મનિર્ભર ભારત’નાં સપનાને સાકાર કરતી થીમ આધારિત આ રેલી ‘સોલ્ટ ટુ સોફ્ટવેર’નાં સુત્ર દ્વારા ગુજરાતના વિકાસને ચરિતાર્થ કરે છે.

આ સાયકલ રેલી માટે સમગ્ર રાજયમાંથી ખાસ પ્રક્રિયા દ્વારા પસંદગી પામેલા 18 થી 20 વર્ષનાં 25 NCC કેડેટ્સ હતા. જેમાં18 છોકરાઓ અને 7 છોકરીઓનો સમાવેશ થાય છે. રોજ 40 થી 50 કિ.મીનું અંતર કાપી 14જાન્યુઆરીએ આ રેલી 422 કિ.મીનાં અંતર સાથે દાંડી ખાતે મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં સાયકલ રેલીની પુર્ણાહુતી થશે. ગાંધી આશ્રમમાંથી ‘દાંડી કૂચ’ દરમિયાન મહાત્મા ગાંધી દ્વારા અનુસરવામાં આવેલ સ્વાવલંબનની ભાવનાનો ઇતિહાસ દોહરાવતી યાત્રા જે નેશનલ સોલ્ટ સત્યાગ્રહ મ્યુઝિયમ, દાંડી ખાતે સમાપ્ત થશે. જ્યાંથી સાયકલ રેલીને દાંડીથી-દિલ્હી સુધીની મોટરસાઇકલ રેલી સાથે સમાવી લેવાનું આયોજન કરવામાં આવ્યું છે.

આ રેલીનું નેતૃત્વ કરી રહેલા NCCના સિનીયર GCI અને કોચ પૂનમ મહેતાએ જણાવ્યું હતું કે, રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની પાવન ભૂમિથી શરુ થયેલી એન.સી.સી. કેડેટ્સની આ સાયકલ રેલી જ્યાં જ્યાંથી પસાર થશે તે પ્રદેશના યુવાનોમાં રાષ્ટ્રભક્તિ, સમર્પણ અને લોકસેવાનો ભાવ પ્રગટ કરશે. એ જ રીતે આ સાયકલ રેલી દ્વારા NCCતમામ NCC કેડેટસમાં પણ સમય સાથે સંકલન સાધી ગમે તે પરિસ્થિતિમાં જીવવું, શિસ્ત, એકતા, સાહસ અને નેતૃત્વના ગુણોનું સિંચન થઈ રહ્યું છે.

NCC કેડેટ્સની આ ભવ્ય સાયકલ રેલીમાં સાઈક્લીસ્ટોનો ઉત્સાહ વધારવા અને તેમને માર્ગદર્શન પૂરું પાડવા સંરક્ષણ મંત્રાલય માંથી મેજર જનરલ અરવિંદ કપૂર, બ્રીગેડિયર આશિષ રંજન તેમજ અન્ય અધિકારીગણ પણ હાજર હતા.

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત