
સુરત, 19 જાન્યુઆરી : આઝાદી કા અમૃત મહોત્સવ અને જી20 સમિટ ‘વસુધૈવ કુટુમ્બકમ’ની ભાવનાને પ્રબળ બનાવવાના ભાગરૂપે કેન્દ્રીય ગૃહમંત્રાલય અને સુરત શહેર પોલીસ કમિશનર કચેરી તથા જિલ્લા વહીવટીતંત્રના સંયુકત ઉપક્રમે અઠવાલાઇન્સ સ્થિત સુરત પોલીસ પરેડ ગાઉન્ડ ખાતે વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશપટેલની પ્રેરક ઉપસ્થિતિમાં નેતાજી સુભાષચન્દ્ર બોઝની 126મી જન્મજયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ અવસરે મંત્રીના હસ્તે BSFના શસ્ત્ર પ્રદર્શનને ખુલ્લું મુકાયું હતું.

આ અવસરે મંત્રી મુકેશ પટેલે જણાવ્યું હતું કે, આઝાદીની લડતમાં સુભાષચંદ્ર બોઝનું અનેરૂ યોગદાન રહ્યું છે. 1938માં હરિપુરા ખાતે આયોજીત કોગ્રેસના 51માં અધિવેશનમાં ભાગ લેવા સુભાષ બાબુ આવ્યા હતા. તેમણે આઝાદી માટે આપેલા યોગદાન વિશે યુવાપેઢી માહિતગાર થાય તેવા આશયથી જન્મજયંતીની ઉજવણી કરી રહ્યા છીએ. તેમના જીવનમાંથી પ્રેરણા લઈને ભારત દેશને વિકસિત રાષ્ટ્ર બનાવવા માટે સૌને કટિબદ્ધ બનવાનો અનુરોધ મંત્રીએ કર્યો હતો.

આ અવસરે સાંસદ સી. આર. પાટીલે જણાવ્યું હતું કે, સુભાષચંદ્ર બોઝ મા ભોમની આઝાદી માટે આઝાદ હિંદ ફોજની રચના કરી અંગ્રેજો સામે ઝઝુમ્યા હતા. ‘તુમ મુઝે ખુન દો મે તુમ્હે આઝાદી દુંગા’ના નારા સાથે હજારો નવલોહિયા યુવાનોને આઝાદીની લડત માટે પ્રરીત કર્યા હતા. આ ક્રાંતિકારી વીરને યુવા પેઢી યાદ કરે તેવા આશય સાથે વડાપ્રધાનની આગેવાની હેઠળ ભારતના પાંચ સ્થળોએ જન્મજયંતીની ઉજવણી કરવામાં આવી રહી હોવાનું તેમણે જણાવ્યું હતું.

આ પ્રસંગે શહેર પોલિસ કમિશનર અજય તોમરે જણાવ્યું હતું કે, આઝાદીની લડતના ક્રાંતિકારી નેતા એવા સુભાષચંદ્ર બોઝની 126મી જન્મજયંતિ નિમિત્તે નેતાજીને યાદ કરી દેશની યુવા પેઢીને તથા તમામ નાગરિકોને પ્રેરણા મળી રહે એવા આશયથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાનીમાં આજે સુરત જિલ્લાના હરિપુરા સહિત દેશભરમાં ઇમ્ફાલ, કોહિમા, કટક અને કલકત્તા ખાતે મહત્વપુર્ણ આઇકોનિક ઉજવણી થઇ છે. નેતાજી સુભાષચંદ્ર બોઝ દ્વારા સૌપ્રથમ તિરંગો અંદામાન નિકોબારમાં લેહરાવામાં આવ્યો હતો, અને તેમણે આઝાદ હિન્દ સરકારને અખંડ અને અવિભાજીત ભારતની સરકાર બનાવી હતી. આઝાદ હિન્દ ફોજને આધુનિક બનાવવા, અંગ્રેજો સામે રણનીતિ બનાવવા અને દેશના સાર્વભૌમત્વ જાળવવા માટે નેતાજીએ અથાગ પ્રયત્ન કર્યા હતા. અને તેમણે એ સમયમાં પહેલા મહિલા રેજિમેન્ટ બનાવી હતી જેમાં લક્ષ્મીસ્વામીનાથનને કેપ્ટનનો હોદ્દો આપ્યો હતો.

સાંસ્કૃતિક કાર્યક્રમોમાં બી.એસ.એફ. બ્રાસ બેન્ડ, શસ્ત્ર પ્રદર્શન, નાગાલેન્ડ, ડાંગી નૃત્ય, માધવપુર(પોરબંદર)ની નૃત્યમંડળી, ઓડિસા જગન્નાથમ દર્શનમ, મણિપૂરી અને બંગાળી પરંપરાગત નૃત્યો જેવા સાંસ્કૃતિક કૃતિઓ સૌએ નિહાળી હતી. આ ઉપરાંત સુભાષબાબુના જીવનસંઘર્ષ આધારિત દસ્તાવેજી ફિલ્મનું નિદર્શન તેમજ શસ્ત્ર પ્રદર્શન, બી.એસ.એફ બ્રાસ બેન્ડની સાથે વ્યસનમુક્તિ ‘નો ડ્રગ્સ’ની થીમ પ્રદર્શિત કરવામાં આવી હતી.આ અવસરે રંગોળી, ચિત્રસ્પર્ધા, વકતૃત્વ સ્પર્ધામાં એક ત્રણ નંબરે આવેલા વિજેતા વિધાર્થીઓને મંત્રીશ્રી તથા અન્ય મહાનુભાવોના હસ્તે પ્રમાણપત્ર આપી સન્માનિત કરાયા હતા.

આ અવસરે ધારાસભ્ય પ્રવિણ ઘોઘારી, સંદિપ દેસાઈ, મનુ પટેલ, જિલ્લા કલેક્ટર આયુષ ઓક, BSFગાંધીનગરના આઈજી રવિ ગાંધી, સુષમા ચૌહાણ, જિલ્લા વિકાસ અધિકારી બી. કે. વસાવા, જોઈન્ટ પોલીસ કમિશનર ડી. સી. પરમાર, અધિક પોલીસ કમિશનર શરદ સિંધલ તથા પી. એલ. મલ, કે. એન. પરમાર, જિલ્લા પોલીસ અધિક્ષક હિતેશ જોયસર, અગ્રણી નિરંજન ઝાંઝમેરા, કિશોર બિંદલ, બારડોલીના નાયબ કલેકટર સ્મિત લોઢા, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી દિપક દરજી, મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી તથા વિવિધ વિભાગના અધિકારીઓ, કર્મયોગીઓ, બી.એસ.એફના અધિકારીઓ, પોલીસ જવાનો, સિનિયર સિટીઝનો, વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત