
સુરત, 6 ફેબ્રુઆરી : સુરત શહેર કોંગ્રેસ પક્ષ દ્વારા એલઆઈસીના ધારકોની તરફેણમાં અને સરકારના માનીતા ઉદ્યોગપતિ અદાણીના આક્ષેપ સાથે સોમવારે મુગલીસરા સ્થિત એલઆઈસી ઓફિસ પાસે વિરોધ પ્રદર્શન કર્યું હતું.
કોંગ્રેસના અગ્રણીઓએ વિરોધ પ્રદર્શન કરતા સમયે જણાવ્યું હતું કે હાલમાં આખો દેશ ખાસ કરીને મધ્યમ વર્ગ મોદી સરકારની રીતિ અને નીતિઓથી ચિંતિત છે. સામાન્ય માણસની મહેનતની બચતના ખર્ચે તેમના નજીકના મિત્રો અને પસંદગીના અબજોપતિઓને ફાયદો થાય તેવી નીતિ અપનાવી રહી છે. સરકાર દ્વારા અદાણી જૂથમાં એલઆઈસી અને એસબીઆઈ જેવી સરકારી સંસ્થાઓના અત્યંત જોખમી વ્યવહારો અને રોકાણોએ, એલઆઈસીના 29 કરોડ પોલિસી ધારકો અને એસબીઆઈના 45 કરોડ ખાતાધારકો પર પ્રતિકૂળ અસર કરી છે.છેલ્લા કેટલાક દિવસોમાંએલઆઈસી.દ્વારા અદાણી જૂથમાં જંગી રોકાણથી એલઆઈસીને રૂપિયા 33060 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. જયારે એસબીઆઈ અને અન્ય ભારતીય બેંકોએ અદાણી જૂથને મોટી રકમની લોન આપી છે. જયારે અદાણી ગ્રુપ પર ભારતીય બેંકોના લગભગ 80,000 કરોડનું દેવું છે.કોંગ્રેસ પાર્ટી ક્યારેય કોઈ ખાસ ભારતીય કોર્પોરેટ હાઉસની વિરુદ્ધ નથી રહી, અમે ક્રોની કેપિટાલાસિમની વિરુદ્ધ છીએ અને પસંદ કરેલા અબજોપતિઓને લાભ આપવા માટેના નિયમો બદલવાના વિચારની વિરુદ્ધ છીએ. કોંગ્રેસ પક્ષ હંમેશા ગરીબ અને સામાન્ય માણસની પડખે ઊભો રહ્યો છે અને રહેશે. કોંગ્રેસ પક્ષ કરોડો ભારતીયોના મહેનતની કમાણી કરેલી બચતને જોખમમાં મૂકીને બજાર મૂલ્ય ગુમાવતી કંપનીઓમાં રોકાણના મુદ્દા પર ચર્ચા શરૂ કરવા માટે સંસદમાં લડી રહ્યો છે.કોંગ્રેસ પક્ષ દ્વારા માંગ કરવામાં આવી છે કે (1) સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશ દ્વારા નિષ્પક્ષ તપાસ અથવા હિડનબર્ગના અહેવાલ અંગે સંયુક્ત સંસદીય સમિતિ દ્વારા તપાસ કરવામાં આવે તેમજ (2) એલઆઈસી અને એસબીઆઈ અન્ય બેંક દ્વારા અદાણી ગ્રુપમાં થયેલ રોકાણો અંગે સંસદમાં ચર્ચા અને રોકાણકારોની સુરક્ષા માટે યોગ્ય પગલાં લેવામાં આવે.

સોમવારના રોજ મુગલીસરા સુરત મહાનગરપાલિકા ની મુખ્ય કચેરી સામે આવેલ એલઆઈસી ઓફીસની પાસે સુરત શહેર કોંગ્રેસ પક્ષના કાર્યકારી પ્રમુખ ભુપેન્દ્ર સોલંકી અને અશોક પીપળેની ઉપસ્થિતિ માં કોંગ્રેસ પક્ષના આગેવાનો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.જેમાં, મોટી સંખ્યામાં કોંગી કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.
અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત