
સુરત, 19 ફેબ્રુઆરી : સુરત શહેરના મેરિડીયન હોટેલ ખાતે રવિવારે ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ તથા કેન્દ્રીય રેલવે અને ટેક્ષટાઈલ રાજ્ય મંત્રી દર્શના જરદોષ દ્વારા પત્રકાર પરિષદને સંબોધિત કરવામાં આવી હતી.જેમાં તેઓએ કેન્દ્રીય બજેટના લેખાજોખા રજૂ કર્યા હતા.

કેન્દ્રીય રેલવે અને ટેક્ષટાઈલ રાજ્ય મંત્રી જરદોશ દ્વારા આવનારા દિવસોમાં રેલવેમાં થનારા આધુનિકરણ વિશે વાત કરવામાં આવી હતી . જેમાં ખાસ કરીને આવનારા સમયમાં નવા નિર્માણ થનાર સુરત રેલવે સ્ટેશન માટેનું પ્રેઝન્ટેશન કરવામાં આવ્યું હતું અને કેવી રીતે તે એક અત્યાધુનિક રેલવે સ્ટેશન બનશે અને એરપોર્ટ જેવી સુવિધાઓ પ્રાપ્ત થશે તેની પણ જાણકારી આપવામાં આવી હતી.

સાંસદ તથા ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ સી.આર.પાટીલે દ્વારા કેન્દ્રીય બજેટ વિશે જાણકારી આપતા જણાવ્યું હતું કે આ બજેટ સમગ્ર દેશ અને સમાજના સર્વાંગી વિકાસમાં મદદરૂપ સાબિત થશે.આ કેન્દ્રીય બજેટ અમૃતકાળનું બજેટ છે ને તે અંતર્ગત સમાજના ઉપલા વર્ગથી લઈને છેવાડાના માનવી સુધી બધાના હિતોનું ધ્યાન રાખવામાં આવ્યું છે . કિસાનોથી લઈને વ્યાપારી સુધી, યુવાવર્ગ અને મહિલાઓ માટે તથા તમામ વર્ગના લોકો માટે આ બજેટમાં ખાસ જોગવાઈ કરવામાં આવી છે.દેશના સંરક્ષણ ક્ષેત્રે ,તબીબી ક્ષેત્રે , શિક્ષણ ક્ષેત્રે ,આર્થિક ક્ષેત્રે ક્રાંતિ લાવનારું આ બજેટ છે.આ બજેટને વખોડવા માટે વિપક્ષ પાસે કોઈ મુદ્દા નથી.પીએમ મોદીના આત્મનિર્ભર ભારતનું પ્રતિબિંબ આ બજેટમાં જોવા મળી રહ્યું છે.આ બજેટના કારણે દેશના સર્વાંગી વિકાસને વેગ મળશે તેમાં કોઈ શંકાને સ્થાન નથી.

આ પત્રકાર પરિષદમાં ગુજરાત સરકારના મંત્રી મુકેશ પટેલ, સુરત ભાજપ શહેર પ્રમુખ નિરંજન ઝાંઝમેરા , મહામંત્રી કિશોર બિંદલ ,કાળુભાઇ ભીમનાથ, ધારાસભ્યો સંગીતા પટેલ , પ્રવીણ ઘોઘારી , અરવિંદ રાણા , મનુભાઈ પટેલ , સંદીપભાઈ દેસાઈ , ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ જનક બગદાણાવાળા , સુરત મહાનગરપાલિકાના સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન પરેશ પટેલ સહિતના આગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા .

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત