
સુરત, 26 ફેબ્રુઆરી : સુરતના ઉમરા પોલીસ સ્ટેશનની બાજુમાં, અઠવા પાર્ટી પ્લોટ ખાતે ધોડિયા સમાજનો 25મો ભવ્ય સમૂહલગ્ન સમારોહ યોજાયો હતો. જેમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ઉપસ્થિત રહી પ્રભુતામાં પગલા પાડી રહેલા 26 નવદંપતિઓને આશીર્વચન પાઠવ્યા હતા અને સમાજલક્ષી પ્રગતિશીલ કામગીરીને બિરદાવી રૂ.1 લાખનું દાન આપવાની જાહેરાત કરી હતી. સાથોસાથ વિશેષ ઉપસ્થિત રહેલા ધારાસભ્ય મોહન ઢોડીયાએ રૂ.51 હજાર અને પૂર્વ આદિજાતિ વિકાસમંત્રી નરેશ પટેલ દ્વારા રૂ.21 હજારનું દાન આપવાની જાહેરાત કરવામાં આવી હતી.

આ પ્રસંગે ધારાસભ્ય મોહન ઢોડીયાએ જણાવ્યું હતું કે, ધોડિયા સમાજ એક બનીને આગળ વધતો સમાજ છે, જેથી તેમને પ્રગતિ કરતા કોઈ રોકી શકશે નહી. સમાજ સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભો લઈને પ્રગતિ કરી રહ્યો છે. કરકસરના પ્રતિકરૂપ સમુહલગ્નોથી એકતાનો ભાવ પ્રગટ થાય છે. લગ્નમાં જોડાનાર પરિવારને આર્થિક બચત થતી હોય છે, જે નાણા બાળકોના શિક્ષણ, આરોગ્ય પાછળ ખર્ચ કરી શકતો હોવાનું તેમણે જણાવ્યું હતું.

આ શુભ પ્રસંગે કેન્દ્રીય રેલ્વે અને ટેક્ષટાઈલ રાજ્યમંત્રી દર્શના જરદોશ, ધારાસભ્ય પૂર્ણેશમોદી, ભાજપ ટ્રાઈબલ મોરચાના રાષ્ટ્રીય પ્રમુખ અને સાંસદ સમીર ઉરાંવ, ભાજપ ટ્રાઈબલ મોરચાના રાષ્ટ્રીય મીડીયા પ્રમુખ ધવલ પટેલ (સુરત), ધોડિયા સમાજ સુરતના પ્રમુખ દિનેશ પટેલ, ઉપપ્રમુખ કાળીદાસ ગરાસીયા અને અશોક પટેલ, સમાજના અગ્રણી ધવલ પટેલ તેમજ મોટી સંખ્યામાં ધોડીયા સમાજના ભાઈ બહેનો ઉપસ્થિત રહ્યા હતા.

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત