
સુરત, 12 માર્ચ : આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, આયુષ નિયામકની કચેરી-ગાંધીનગર અને આયુર્વેદ શાખા, જિલ્લા પંચાયતના સંયુક્ત ઉપક્રમે કામરેજ તાલુકા મથકે ઉમામંગલ હૉલ ખાતે શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં ‘આયુષ મેળો’ યોજાયો હતો. જેમાં 5251 લોકોએ નિદાન અને આયુર્વેદિક સારવારનો લાભ લીધો હતો.
શિક્ષણ રાજ્યમંત્રીએ ‘આયુષ મેળા’ની મુલાકાત લઈ આડઅસર વિનાના આયુર્વેદ ઉપચાર પદ્ધતિને અપનાવવા અને વાત્ત,પિત્ત અને કફ જેવા ત્રિદોષોને આધારે દિનચર્યા અને જીવનશૈલીમાં પરિવર્તન કરવાનો અનુરોધ કર્યો હતો.

આયુષ મેળામાં આયુર્વેદ ઔષધિ, રસોડા અને ઘરઆંગણાની ઔષધિઓનું પ્રદર્શન, ચાર્ટ પ્રદર્શન, વૈદિક ફૂડ, પંચકર્મ, અગ્નિકર્મ, બાળકોના ઉપચાર તેમજ સૂવર્ણપ્રાશન, ગર્ભસંસ્કાર તથા અન્ય આયુર્વેદ પદ્ધતિઓનું પ્રદર્શન કરાયું હતું. આ સાથે જ કાર્યક્રમમાં યોગ ટ્રેનરો દ્વારા યોગ નિદર્શન પણ કરાયું હતું. આયુષની વિવિધ પદ્ધતિઓની સમજણ બાલ્યાવસ્થાથી જ થઈ શકે તે માટે સ્કૂલના બાળકોને અને નગરજનોને પ્રેઝન્ટેશન દ્વારા આયુર્વેદની પદ્ધતિઓની સમજણ આપવામાં આવી હતી.

આ પ્રસંગે તાલુકા પંચાયત ઉપપ્રમુખ ભૂમિકા પટેલ, તા.પં.ના સભ્ય લાલુ વસાવા, કારોબારી સમિતિ અધ્યક્ષ રસિક પટેલ, જિલ્લા પંચાયત સદસ્ય ભારતી રાઠોડ, જિલ્લા આયુષ અધિકારી ડો.કાજલ મઢીકર, જિલ્લા-તાલુકા પંચાયત સભ્યો, સરપંચો અને નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત