સુરત, 12 એપ્રિલ : આગામી 16મી એપ્રિલ-2023નાં રોજ ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ, ગાંધીનગર દ્વારા રાજ્યભરમાં યોજાનારી શિક્ષક યોગ્યતા કસોટી-1(TET-1)ની પરીક્ષા સુરત શહેરમાં ૭૯ કેન્દ્રો પર લેવાનાર છે. જેથી પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીઓને કોઈ ખલેલ ના પહોંચે અને શાંતિમય વાતાવરણ જળવાય રહે એ માટે શહેર પોલિસ કમિશનર અજય તોમરે એક જાહેરનામા દ્વારા પરીક્ષા કેન્દ્રોથી 100 મીટરના વિસ્તારમાં કેટલાક પ્રતિબંધો મૂક્યા છે. જે મુજબ, શહેર વિસ્તારમાં આવેલા 79 પરીક્ષા કેન્દ્રની 100 મીટરની ત્રિજ્યામાં 4 કરતા વધુ વ્યક્તિઓને એકત્ર થવા, સભા ભરવા કે સરઘસ કાઢવા, ઝેરોક્ષ સેન્ટર પરીક્ષા દરમ્યાન ચાલુ રાખવા, વાહનો ઉભા રાખવા, પરીક્ષા કેન્દ્રના બિલ્ડીંગમાં કોઈપણ પરીક્ષાર્થી તેમજ પરીક્ષા સાથે સંકળાયેલ કોઈપણ કર્મચારીઓ(સરકારી પ્રતિનિધિ સિવાય) મોબાઈલ ફોન, ઈલેકટ્રોનિક્સ ડિવાઈસ અથવા કોમ્યુનિકેશન ડિવાઈસ કે સિસ્ટમ રાખવા/લાવવા લઈ જવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે. તેમજ પરીક્ષા કેન્દ્રોના સ્થળ સંચાલક, સરકારી પ્રતિનિધિ અને વર્ગ-4નાં કર્મચારીઓએ પરીક્ષા કેન્દ્રની ફરજ દરમિયાન પોતાનું આઈ કાર્ડ સાથે રાખવાનું રહેશે. એ સિવાય પ્રવેશ મળશે નહિ. આ હુકમ પરીક્ષામાં રોકાયેલ અને સરકારી નોકરી કે રોજગાર પર ફરજ બજાવતા કર્મચારીઓને લાગુ પડશે નહિ. અ હુકમ તા16મી એપ્રિલ-2023એ અમલમાં રહેશે.તેનો ભંગ કરનાર સજાને પાત્ર ગણાશે.
અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત